Site icon Gujarat Mirror

યુદ્ધને અટકાવવા ભારતની મધ્યસ્થી સ્વિકારવા રશિયાની જાહેર અપીલ

સાઉથ પાર્ટી ગેસફિલ્ડ પરના હુમલા પછી રશિયન વિદેશ મંત્રાલયનો સુઝાવ

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને ત્રણ અઠવાડિયાથી વધુ સમય વીતી ચૂક્યો છે, જેના કારણે વિશ્વભરમાં ગંભીર ઈંધણ સંકટ ઊભું થયું છે. આ પરિસ્થિતિમાં રશિયાએ ભારતની મધ્યસ્થી સ્વીકારવા અપીલ કરી છે.

રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાખારોવાએ જણાવ્યું છે કે, અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા અકારણ હુમલાને કારણે સર્જાયેલા આ સંકટને રોકવા માટે ભારત જેવી પ્રભાવશાળી શક્તિ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારતે પણ શરૂૂઆતથી જ આ યુદ્ધનો અંત લાવવા માટે વાતચીતનો માર્ગ અપનાવવા પર ભાર મૂક્યો છે.

આ યુદ્ધની આર્થિક અસરો હવે સીધી રીતે જોવા મળી રહી છે. ઈઝરાયલી સેનાએ બુધવારે ઈરાનના વિશ્વના સૌથી મોટા ગેસ ફિલ્ડ ’સાઉથ પાર્સ’ પર હુમલો કર્યો હોવાના અહેવાલ છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને કુદરતી ગેસની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે. કાચા તેલની કિંમત 6.3% વધીને 109.95 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે, જ્યારે યુરોપમાં ગેસના ભાવમાં 9.3%ની તેજી જોવા મળી છે. આ અગાઉ ઈરાનના તેલ ભંડાર ધરાવતા ખાર્ગ દ્વીપને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો.

જયારથી અખાતી યુધ્ધ શરૂ થયું છે ત્યારથી ભારતનો અભિગમ તટસ્થ રહ્યો છે અને છેલ્લા કેટલાક વર્ષોથી ભારતે વડાપ્રધાન મોદીના માધ્યમથી વિશ્વના અનેક દેશો સાથે પોતાના સુમેળભર્યા સંબંધોનો સેતુ સ્થાપ્યો છે.
જેને કારણે એ સંભાવના છે કે અખાતી યુધ્ધમાં ભારત જો મધ્યસ્થી કરે તો યુધ્ધનો કદાચ વહેલો અંત આવી શકે. રશિયા વડા પુતિને તેમના વિદેશ વિભાગ દ્વારા જારી કરાયેલા આ સંદેશામાં યુધ્ધના પક્ષકાર દેશોને પરોક્ષ રીતે એક ટેબલ પર આવવા અને ભારતની મધ્યસ્થી સ્વીકારવા વિનંતી કરી છે. જો કે હજુ રશિયાની આ દરખાસ્ત વિશે અખાતમાં જારી રહેલા યુધ્ધના પક્ષકાર દેશો અને બન્ને પક્ષના સમર્થક દેશો તરફથી હજુ સુધી કોઇ બયાન સામે આવ્યું નથી.

Exit mobile version