અમદાવાદમાં ઈન્કમ ટેક્સ વિભાગે કથિત બેનામી વ્યવહારોની જાણ થતાં બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપના સંચાલકો પર દરોડા પાડયા છે. તપાસ દરમિયાન બેનામી મિલકતો, હવાલા લેવડદેવડ અને અન્ય નાણાકીય અનિયમિતતાઓના પુરાવા મળ્યા છે.17 કરોડ કેશ, 35 કરોડના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે.
સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ ઈન્કમ ટેક્સ વિભાગના સર્ચ ઓપરેશનમાં કુલ 60 બેંક લોકરમાંથી અત્યાર સુધીમાં 50 લોકર ખોલાયા છે, જેમાં 17 કરોડ કેશ તો અંદાજિત 35 કરોડ રૂૂપિયાના સોના-દાગીના મળ્યા છે, જેને વિભાગે જપ્ત કર્યા છે. બાકીના 10 લોકરની તપાસ શરૂૂ કરી દેવામાં આવી છે. તેમાં હજુ વધુ રોકડ રકમ અને કિંમતી વસ્તુઓ મળે તેવી શક્યતાઓ છે. આઈટી વિભાગના અંગત સૂત્ર મુજબ બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપના સંચાલકોએ બેનામી રીતે ઘણી જમીન મિકલતો ખરીદી છે, તેની રોકડ લેવડ દેવડ છુપાવવા હવાલા નેટવર્કનો સહારો લીધો છે. સર્ચ ઓપરેશન દરમિયાન મળેલી રકમ અને ઘરેણાં અને દસ્તાવેજોની ગહન તપાસ શરૂૂ કરી દેવામાં આવી છે. જે બાદ વધુ ઘટસ્ફોટ થઈ શકે છે.
બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપ પર આઈટી વિભાગે ગાળિયો કસતા રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ બિલ્ડરોના પરિવારના સભ્યો અને નજીકના પરિચિતોના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. આ દરોડા બાદ ધરપકડ સુધીની કડક કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે.

