શહેરમાં સીટીબસના ચાલકો બેફામ રીતે ડ્રાઈવીંગ કરતા હોવાથી અવાર-નવાર અક્સમાતો સર્જાતા રહે છે. ત્યારે સીટીબસના ચાલકોએ વધુ બે અકસ્માત સજર્યા હતાં. માધાપર ચોકડી પાસે આરએમસીના ડે. ચીફ એકાઉન્ટ ના પિતાને બીઆરટીએસના ચાલકે ઉલાળતા ઉશ્કેરાયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી હતી જ્યારે બીજા બનાવમાં કોઠારિયા ચોકડી પાસે વેપારીની કારને સીટીબસના ચાલકે ઠોકરે ચડાવતા કારમાં 30 હજારનું નુક્શાન થયું હતું. બંને ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી છે.
માધાપર ચોકડી નજીક પુરપાટ ઝડપે આવતી બીઆરટીએસના ચાલકે મહેન્દ્રભાઈ મણિલાલ ગાંધી (ઉ.વ.63) નામના વૃધ્ધને ઠોકરે લેતા રોડ પર ફંગોળાયા હતા અને બસનું વ્હીલ પગ ઉપર ફરી વળતા પગ ચકદાવાથી લોહી લુહાણ થયા હતા બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને બસ પર પથ્થર મારો કરી કાચ ફોડ્યા હતા. લોકોનો રોષ જોઈ બસ ચાલક ઉતરી રિક્ષામાં બેસી પલાયન થઇ ગયો હતો. જો કે ત્યાં હાજર જાગૃત નાગરિકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હતો. બનાવના પગલે કોઈએ 108નેજાણ કરતા વૃધ્ધને તાકીદે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આરએમસીમાં ડે.ચીફ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ભોગબનનારના પુત્ર અભિલાષભાઈ મહેન્દ્રભાઈ ગાંધીની ફરિયાદ પરથી પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
જયારે બીજા બનાવમાં રૈયાનાકા ટાવર પાસે દેવ કુંવરબા સ્કૂલ પાસે રહેતા વિશાલભાઈ રાજેશભાઈ શીંગાળા (ઉ.વ.35) નામના વેપારી પોતાની કારમાં પરિવાર સાથે બહારગામ જતા હતા ત્યારે કોઠારીયા રોડ પર પહોંચતા પાછળથી આવતી સીટી બસના ચાલકે પુરપાટ ઝડપે હંકારી પાછળથી ઠોકર મારતા કારનો પાછળનો કાચ ફૂટી ગયો હતો, ડેકીના દરવાજામાં ખોબો પડી ગયો હતો. બ્રેક લાઈટ સહીતનો ભાગ તૂટી ગયો હતો. કુલ રૂૂ.30,000 જેટલું નુકસાન થયું હતું. કારની નુકશાનીનો ખર્ચ આપવાનું ડ્રાઈવરને કહેતાઆપવાની ના પાડતા યુવકે 100 નંબરમાં પોલીસને ફોન કરી બોલાવતા પોલીસ આવી ગઈ હતી અને બસ ડ્રાઈવરને બસ લઈને આવવાનું કહેતા આજીડેમ પોલીસે લવાઈ હતી. પોલીસે બસના ચાલક પ્રદીપ રાવતભાઈ લોખીલ (રહે-શુભમ સ્કૂલ સામે, નીલકંઠ ટોકીઝ સામે) વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

