Site icon Gujarat Mirror

વ્યાજખોરના ત્રાસથી રિક્ષાચાલકનો ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ

શહેરમાં પોલીસના લોકદરબાર વચ્ચે પણ વ્યાજખોરો જાણે બેફામ બન્યા હોય તેમ અને પોલીસનો કોઈ ખૌફ જ ન હોય તેમ સામાન્ય લોકો પાસે પઠાણી ઉઘરાણી કરી હેરાન કરતાં હોવાના બનાવો અવારનવાર સામે આવતાં રહે છે ત્યારે આવા જ એક વધુ બનાવમાં વ્યાજખોરના ત્રાસથી રિક્ષા ચાલક યુવાને ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે પત્ની જોઈ જતાં તેનો જીવ બચી ગયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ, પોપટપરા શેરી નં.2/10માં રહેતો આસીફ હુસેનભાઈ જેડ (ઉ.38) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે તેની પત્ની જોઈ જતાં પતિને બચાવી લઈ બેભાન હાલતમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર આસીફ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે ત્રણ મહિના પહેલા પૈસાની જરૂરીયાત ઉભી થતાં આફતાબ પાસેથી રૂા.25 હજાર વ્યાજે લીધા હતાં. બાદમાં વ્યાજ ચડી જતાં વ્યાજખોર આફતાબ હેરાન કરતો હોય જેથી કંટાળી તેણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version