યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો
રાજકુમાર કોલેજના ગેઈટ નંબર-2 પાસે ફરજ બજાવતા સિકયુરીટી ગાર્ડ પર તેણે નોકરીમાંથી કઢાવી મુક્યાની શંકા રાખી પુર્વ કર્મચારી શખ્સે છરી વડે હુમલો કરતાં ચકચાર જાગી છે. સિક્યુરીટી ગાર્ડ સારવાર માટે દાખલ થતાં પોલીસે કાર્યવાહી કરી છે.
નાના મવા રોડ નહેરુ નગરમાં રહેતા અને રાજકુમાર કોલેજમાં સિક્યોરિટીની નોકરી કરતા રજનીશભાઇ લક્ષ્મણભાઈ સોંદરવા(ઉ.વ.36)ને નોકરી પરથી કઢાવ્યાની શંકાએ અમિત પરમાર નામના શખ્સે છરીના આડેધડ ઘા ઝીંકી દેતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાઇ છે.
ફરિયાદ મુજબ આરોપી અમિત પરમારને અગાઉ સિકયુરીટી એજન્સીએ નોકરીમાંથી કાઢી મૂકયો હતો. આ બાબતનો ખાર રાખીને તે ઉશ્કેરાયેલી હાલતમાં આવ્યો હતો અને કઈ પણ બોલ્યા વગર રજનીશભાઇ પર છરી વડે તૂટી પડ્યો હતો અને આડેધડ ઘા મારી પેટ, મોઢા, ગળા પર ઇજા કરી ભાગી ગયો હતો. રજનીશભાઇની બૂમાબૂમ સાંભળી સાથે કામ કરતા ઇન્દુબેન અને જેન્તીભાઈ દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં રજનીશભાઇને તુરંત સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમને ટાંકા આવ્યા છે અને હાલ સારવાર હેઠળ છે.
રણજીતભાઇએ જણાવ્યું હતું કે અમિતના કપડા કબાટમાં હોઇ તે તેણે મંગાવતાં મેં શેઠ સાથે મોકલ્યા હતાં. આ પછી તેણે પોતાના કપડામાંથી પૈસા ચોરાઇ ગયા છે તેવો આક્ષેપ કરી મારી સાથે માથાકુટ કરી હોઇ તેના કારણે તેને સાત દિવસ પહેલા નોકરીમાંથી છુટો કરાયો હતો. આ વાતનો ખાર રાખી રાતે અચાનક આવ્યો હતો અને મારા પર તૂટી પડયો હતો. પ્ર.નગર પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

