રાજકોટના ગોંડલ રોડ પર આવેલી વિભાગીય કચેરીનું બાંધકામ પુર્ણ થતા અને ગોંડલ બસ ડેપોના નિર્માણ બાદ તેનું ઉદઘાટન શનિવારે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવશે.
ગોંડલ રોડ પર પી.ડી. માલવીયાની બાજુમાં આવેલ એસ.ટી. વર્ક શોપમાં વિભાગીય કચેરીના બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવ્યું છે અને તેમાં તમામ વહીવટી ઓફિસની કામગીરીની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ગોંડલ ખાતે પણ નવા બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બન્નેનું ઉદઘાટન શનિવારના રોજ બપોરે એક વાગે રાજકોટ ખાતેથી રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવશે. અગાઉ પણ ઉદઘાટન કરવાની ચર્ચા થઇ હતી. પરંતુ કોઇ કારણોસર કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો હતો.
આ ઉદઘાટન કાર્યક્રમમાં રાજકોટના સાંસદ સભ્યો, ધારાસભ્યો, મેયર સહીતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજરી આપશે તેમ વિભાગીય નિયામક દ્વારા જણાવાયું છે.

