રાજકોટ-જેતપુર હાઇવેના સિકસલેનના કામમાં ઢીલી નીતિ અને મોટા ખાડાઓનો મામલો માનવ અધિકાર આયોગમા પહોંચતા માનવ અધિકાર આયોગે રાજકોટ જિલ્લા કલેકટરને નોટિસ આપી તા. 26 સપ્ટેમ્બરના રોજ સુનાવણી રાખી છે.
મળતી માહિતી મુજબ રાજકોટ-જેતપુર સિકસલેન હાઇવે ઉપર પડેલા ગાબડાઓ અંગેના અખબારી અહેવાલો સાથે મહેશભાઇ દવે નામના નાગરિકે માનવ અધિકાર આયોગમા ગત તા. 30 ઓગષ્ટના રોજ અરજી કરી છે.
આ અરજીના અનુસંધાને ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ દ્વારા જિલ્લા કલેકટરને નોટિસ પાઠવી તા. 26 ના રોજ ઓનલાઇન સુનાવણી રાખી છે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસાના પ્રારંભથી જ રાજકોટ-જેતપુર હાઇવે ભાંગી પડયો છે. આ હાઇવે સિકસલેન કરવાની ચાલતી કામગીરી વચ્ચે મસમોટા ગાબડા પડી ગયા હોવાથી રોજેરોજ હાઇવે ઉપર કલાકો સુધી ટ્રાફીક જામ થાય છે. થોડા દિવસ પહેલા આ હાઇવેના મુદે ઉગ્ર આંદોલનો પણ થયા હતા.
આ સમગ્ર ઘટનાક્રમ અંગેના અખબારી અહેવાલોના કટીંગ સાથે અરજદાર મહેશ જાનીએ માનવ અધિકાર આયોગમાં અરજી કરી છે. જેને આયોગ દ્વારા સુનાવણી માટે હાથ પર લેવામાં આવેલ છે.

