માળિયા (મી)ના રાસંગપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીની 765 કેવીની હેવી લાઇન પસાર થઈ રહી છે અને તેના વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી ચાલી રહી છે જોકે, ખેડૂતોને શું વળતર મળશે ? અને ક્યારે વળતર મળશે ? તે બાબતની કોઈપણ પ્રકારની સ્પષ્ટતા વગર કંપની દ્વારા વીજ પોલ ઊભો કરવામાં આવી રહ્યો હોવાથી તેના વિરોધમાં રાસંગપર ગામ પાસે રાત્રીના કંડલા જામનગર હાઇવે ચક્કાજામ કર્યો હતો.
માળિયા (મી)ના રાયસંગપર ગામ પાસે ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન માટે વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવી રહી છે અને 765 કેવીની લાઇનના વીજ પોલનું કામ શરૂૂ કરી દેવામાં આવ્યું છે જોકે જે ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઉભા કરવામાં આવે છે અને જે ખેડૂતોના ખેતરમાંથી વીજ વાયરનો કોરિડોર નીકળી રહ્યો છે તેમને ખાનગી કંપની તરફથી શું વળતર આપવામાં આવશે ? ક્યારે વળતર આપવામાં આવશે ? તે બાબતે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી અને હાલમાં કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા ત્યાં વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી ચાલી રહી છે જેના વિરોધમાં ખેડૂતોએ શનિવારે બપોરે કામ બંધ કરાવ્યું હતું અને વળતર આપ્યું ન હોવાથી વીજ પોલનો માલ ખેતરમાંથી કોન્ટ્રાક્ટ ઉપાડી જાય તેવી માંગ કરી હતી.
જો કે શનિવારે મોડી સાંજ સુધી વીજ પોલ ઊભા કરવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા તેનો માલ સામાન ત્યાંથી ઉપાડવામાં આવ્યો ન હતો જેથી રાસંગપરના અસરગ્રસ્ત ખેડૂત નરેન્દ્રભાઈ રંગપરિયા તેમજ સરપંચ અમિતભાઈ ઘુમલીયા સહિતના ખેડૂતોએ રાસંગપર પાસે શનિવારે રાત્રીના કંડલા જામનગર હાઇવેને રાસંગપર ગામના પાટીયા પાસે બંધ કરવામાં આવ્યો હતો અને લગભગ દોઢ કલાક સુધી હાઈવેને બંધ કરવામાં આવતા ટ્રક સહિતના વાહનોના થપ્પા લાગી ગયા હતા અને ત્યારબાદ વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર અધિકારી અને માણસો ત્યાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ખેડૂતોની માંગણી મુજબ ખેતરમાંથી વીજપોલ માટેનો માલ સામાન ઉપાડી લેવા માટેની તૈયારી દર્શાવી હતી જેથી હાલમાં ખેડૂતોએ બંધ કરેલો રસ્તો ખોલી આપ્યો હતો.

