Site icon Gujarat Mirror

અમરેલી પંથકમાં અતિવૃષ્ટી રાહત પેકેજમાં રહેલ વિસંગતતાઓનો વિરોધ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ખેડૂતોએ ઓક્ટોબર 2024માં થયેલા અતિ ભારે વરસાદને કારણે ઉભા પાકોને થયેલા નુકસાનની સામે સરકારી રાહત પેકેજમાં જોવા મળતી વિસંગતતા વિરુદ્ધ વિરોધ દર્શાવ્યો છે. આજે સાવરકુંડલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોએ તેમની માંગો રજૂ કરી છે. આ વિરોધમાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ, સરપંચો અને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.

ઓક્ટોબર 2024માં થયેલા કમોસમી વરસાદને કારણે અમરેલી જિલ્લામાં કપાસ સહિતના પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. સરકારે આ નુકસાનની સહાય જાહેર કરી છે, પરંતુ તેમાં ખૂબ વિસંગતતા જોવા મળી રહી છે. સાવરકુંડલા અને લીલીયા વિધાનસભા વિસ્તારના કુલ 116 ગામો પૈકી માત્ર 50 ગામોને જ આ રાહત પેકેજ મળવા પાત્ર બનાવવામાં આવ્યા છે, જ્યારે બાકીના 66 ગામોને આ સહાયમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ કારણે ખેડૂતોમાં તીવ્ર અસંતોષ અને કચવાટ જોવા મળી રહ્યો છે.આવેદનપત્રમાં ખેડૂતોએ માંગ કરી છે કે બાકી રહેલા 66 ગામોના ખેડૂતોને પણ તાત્કાલિક આ સહાય ચૂકવવામાં આવે. તેમજ, તે સમયે કરવામાં આવેલા સર્વેમાં જોવા મળેલી વિસંગતતાને દૂર કરીને ન્યાયી વિતરણ કરવું જોઈએ. ખેડૂતોએ સાવરકુંડલા મામલતદાર કચેરીએ ભેગા થઈને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને તેમનો રોષ વ્યક્ત કર્યો.

આ ઉપરાંત, આવેદનમાં વન વિભાગ વિરુદ્ધ પણ તીવ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો છે. વન વિભાગના એક પરિપત્ર અનુસાર, જો ખેડૂતોના ખેતરમાં વન્ય પ્રાણી (જેમ કે સિંહ કે દીપડા) મૃત્યુ પામે તો ખેડૂતોને હેરાન કરવામાં આવે છે અને તેમની પાસેથી દંડ વસૂલવાના નિયમો છે. ખેડૂતોએ આ નિયમોનો વિરોધ કરતા માંગ કરી છે કે વન વિભાગ તેમના વન્ય પ્રાણીઓને પોતાના જંગલમાં પાછા લઈ જાય અને ખેડૂતોને આવી પરેશાનીઓથી રક્ષણ આપે. તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આ માંગો પૂરી નહીં કરવામાં આવે તો વધુ તીવ્ર આંદોલન કરવામાં આવશે.

સાવરકુંડલા તાલુકા કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું કે, સરકારની આ વિસંગતતા ખેડૂતોના અધિકારોનું હનન છે. અમે તમામ ખેડૂતોને ન્યાય મળે તે માટે સંઘર્ષ કરીશું અને વન વિભાગના અન્યાયી નિયમો વિરુદ્ધ પણ અવાજ ઉઠાવીશું. આ વિરોધ અને આવેદનને લઈને ખેડૂતોની માંગો પર સરકાર અને વન વિભાગ તરફથી તાત્કાલિક કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Exit mobile version