Site icon Gujarat Mirror

ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના આશાસ્પદ યુવાન પુત્રએ આપઘાત કર્યો

– વહેલી સવારે પિતાની ગન વડે જિંદગી ટૂંકાવી: અરેરાટી –

 

ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ગઢવી અગ્રણી પી.એમ. ગઢવીના જુવાનજોધ પુત્રએ આજરોજ વહેલી સવારે પોતાના પિતાની ગન વડે આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આ કરુણ બનાવની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારના રહીશ અને હાલ અત્રે દ્વારકા રોડ પર આવેલા ખોડીયાર મંદિર નજીક વાડી ધરાવતા અને અહીં રહેણાંક મકાનમાં રહેતા પેથાભાઈ મુળુભાઈ પતાણી (પી.એમ. ગઢવી) તેમના બે જોડિયા પુત્રો સહિત ત્રણ સંતાનો અને પરિવારજનો સાથે ગતરાત્રે વાળું-પાણી કરી, પરિવાર સાથે વાતો કરીને સુતા હતા. ત્યારે આજે વહેલી સવારે ચઢતા પહોરે આશરે પાંચેક વાગ્યાના સમયે તેમના મોટા પુત્ર વિજય (ઉ.વ. 22)એ કોઈ કારણોસર પિતા પી.એમ. ગઢવીની લાયસન્સવાળી બંદૂક વડે પોતાના હાથે પોતાના શરીરને ગોળી ખાઈ લેતા તેમનું લોહી લુહાણ હાલતમાં કરુણ મૃત્યુ નિપજ્યું હતું.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ વિજય પતાણી (ગઢવી) અમદાવાદ ખાતે તાજેતરમાં ઉચ્ચ અભ્યાસ કરીને અહીં પરત આવ્યો હતો. ત્યારે આજે વહેલી સવારે કોઈ કારણોસર તેમણે પોતાના હાથે આપઘાત કરી લીધાના આ બનાવે પરિવારજનો સાથે ગઢવી સમાજમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.

Exit mobile version