શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી અને ખાનગી સ્કૂલની શિક્ષિકાને 25 વર્ષથી પતિ સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામ શેરી નં.5માં રહેતા અને ખાનગી સ્કૂલમા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા વૈશાલિબેન અજયભાઇ પરમાર (ઉ.વ.50)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ અજય ભૂપતભાઇ પરમાર, સસરા ભૂપત ભાઇ પરમાર, સાસુ ઉષાબેન, જેઠ પ્રફુલભાઇ અને જેઠાણી શીલ્પાબેના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના લગ્ન વર્ષ 1998માં થયા હતા. દોઢ બે વર્ષ સરખી રીતે રાખ્યા બાદ તેણીને દીકરીનો જન્મ થતા પતિ સહિતના સાસરીયાઓએ ત્રાસ આપવાનુ શરૂ કર્યુ હતુ. બાદમાં બીજી દીકરીનો જન્મ થતા ત્રાસ વધતો ગયો હતો. માવતરેથી મેળલા સોનાના દાગીના અને સ્ત્રીઘન પણ બળજબરીથી લઇ લીધુ હતુ. પતિને અન્ય સ્ત્રી સાથે આડાસબંધ હોય તેઓ તેમની સાથે રહેતા ન હતા. ફરિયાદી તેની દીકરી સાથે નીચેના માળે અલગથી રહેતા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાસરીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

