Site icon Gujarat Mirror

ગુજરાતમાં SIRની તૈયારી, મુખ્ય ચૂંટણી અધિકારીએ તાલીમ માટે બેઠક યોજી

 

દિવાળી પછી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં એકી સાથે એસઆઈઆર લાવવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે તમામ રાજ્યોને જરૂૂરી તૈયારીઓ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લાએ રાજકોટ સહિત રાજ્યભરના જિલ્લાઓના ચૂંટણીના નાયબ કલેક્ટરો અને અધિક કલેક્ટરો સાથે એક વિશેષ વીડિયો કોન્ફરન્સ યોજી હતી.

આ વીડિયો કોન્ફરન્સમાં એસઆઈઆર અંગેની તાલીમ અને તેના શેડ્યૂલ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ, રાજકોટ જિલ્લાના 2,260 બૂથ લેવલ ઓફિસરો ઘરે ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરશે. આ અધિકારીઓ એવા નામોને યાદીમાં જાળવી રાખશે જેમના નામ યાદીમાં છે અને વ્યક્તિ હયાત છે. જ્યારે, જેમના નામ યાદીમાં છે પરંતુ વ્યક્તિ હયાત નથી અથવા ટ્રાન્સફર થઈ ગયા છે, તેમના નામ કમી કરવા અંગેનો રિપોર્ટ જે તે મામલતદાર અને નાયબ કલેક્ટરને સુપરત કરવામાં આવશે.

ત્યારબાદ પ્રાંત અધિકારી દ્વારા કલેક્ટરને અને અંતે કલેક્ટર દ્વારા ચૂંટણી પંચને આખરી મતદાર યાદીની જાણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે અગાઉ એક બૂથમાં 1,250થી વધુ મતદારો નહીં તેવો નિયમ જાહેર કર્યો છે. આ નિયમને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર અને જિલ્લામાં આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે અંદાજે 650 થી 700 જેટલા નવા મતદાન મથકો વધે તેવી શક્યતા છે. આ અંગેનો રિપોર્ટ તાજેતરમાં કલેક્ટર દ્વારા ચૂંટણી પંચને મોકલી દેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

Exit mobile version