ધારાસભ્ય ચૈતર વસાવાની નર્મદા પોલીસે નવાગામ(દેડી)થી અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ એફઆઇઆરને લઇ ધારાસભ્ય ચૈતર વસાવા રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જતા હતાં, ત્યાં નર્મદા પોલીસ દ્વારા રસ્તામાં જ રોકવામાં આવ્યા અને અટકાયત કરવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, ફરિયાદ બાબતે પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહ્યાં હતાં.ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની બે એફઆઇઆર કરેલ છે. બ્લાસ્ટમાં મૃત્યુ થયેલ વ્યકિતના પરિવારોને વળતર અપાવ્યુ એ ગુનો કર્યો છે? અમે કોઈ ગુનો નથી કર્યો એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જઈએ છીયે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે, મારા ઘરે રાત્રેથી પોલીસ મુકીને ભયનો માહોલ ઊભો કરવામાં આવે છે. પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે. નોંધનીય છે કે, રાજપારડી અને અંકલેશ્વરમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાયેલી છે. જેથી રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જતા હતાં ત્યાં રસ્તા વચ્ચે જ નર્મદા પોલીસે અટકાયત કરી લીધી હતી.

