રાજકોટ ગ્રામ્ય પોલીસે જેતપુરમાં વ્યાજખોરી નાબૂદી માટે વિશેષ લોક દરબાર અને લોન મેળાનું આયોજન કર્યું હતું. ગુજરાત સરકારની વ્યાજખોરી વિરોધી ઝુંબેશને વેગ આપવા અને ગેરકાયદેસર નાણાં ધીરનાર વ્યાજખોરોના ચુંગાલમાંથી સામાન્ય જનતાને મુક્ત કરાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. જરૂૂરિયાતમંદોને કાયદેસરની લોન મળી રહે તે પણ આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ હતો.
આ કાર્યક્રમમાં જેતપુર ડિવિઝનના DYSP ડોડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ કાફલો ખડેપગે રહ્યો હતો. જેમાં જેતપુર શહેર PI એ.ડી. પરમાર, જેતપુર તાલુકા PI એ.એમ. હેરમાં, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના PI ડો. એમ.એમ. ઠાકોર, વીરપુર પોલીસ સ્ટેશનના PI એસ.જી. રાઠોડ સહિત વિવિધ પોલીસ સ્ટેશનના PSI અને અન્ય પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.લોક દરબાર દરમિયાન પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિએ વ્યાજખોરોના ડર હેઠળ જીવવાની જરૂૂર નથી. જો કોઈ ગેરકાયદેસર રીતે ઊંચું વ્યાજ વસૂલતું હોય કે ધાક-ધમકી આપતું હોય, તો તુરંત પોલીસનો સંપર્ક કરવો.લોકોને ખાનગી વ્યાજખોરો પાસે ન જવું પડે તે માટે લોન મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેળામાં અલગ-અલગ બેંકોના કર્મચારીઓએ ઉપસ્થિત રહીને સરકારી લોન યોજનાઓની માહિતી આપી હતી. તેમણે ઓછા વ્યાજે ધિરાણ મેળવવાની પ્રક્રિયા અને જરૂૂરી દસ્તાવેજો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ લોક દરબારમાં જેતપુરના સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવા આયોજનથી સામાન્ય માણસને આર્થિક શોષણમાંથી મુક્તિ મળશે. કાર્યક્રમના અંતે જણાવવામાં આવ્યું હતું કે, “વ્યાજખોરી એ સામાજિક દૂષણ છે, અને તેને જડમૂળથી ઉખેડવા પોલીસ અને જનતાનો સહયોગ અનિવાર્ય છે.”

