બોટાદના ગઢડા શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં પોલીસ વિભાગના એક યુવાન કોન્સ્ટેબલે પોતાના નિવાસસ્થાને જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ બનાવથી સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે, મૃતક પોલીસ કોન્સ્ટેબલનું નામ પ્રહલાદભાઈ બાવળીયા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.
અચાનક તેમણે આવું પગલું શા માટે ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી.ઘટનાની જાણ થતાં જ ગઢડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પોલીસમાંથી મળતી માહિતી મુજબ મૃતક કોન્સ્ટેબલના પત્ની ઘંઘુકાના વતની હોય થોડા દિવસ પછી તેનો શ્રીમંત પ્રસંગ યોજાનાર હતો. પરંતુ તે પૂર્વે જ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી, જેના કારણે મૃતકના પરિવારજનો અને સહકર્મીઓ પણ આઘાતમાં છે. પોલીસ વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે અને પ્રહલાદભાઈએ આ પગલું શા માટે ભર્યું તે અંગેના કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રહલાદભાઈ એક શાંત અને સરળ સ્વભાવના વ્યક્તિ હતા. તેમના સાથી કર્મચારીઓ અને અધિકારીઓ પણ તેમના આ પગલાથી આશ્ચર્યચકિત થઈ ગયા છે. હાલમાં પોલીસ પ્રહલાદભાઈના પરિવારજનો, મિત્રો અને સહકર્મીઓની પૂછપરછ કરી રહી છે, જેથી કોઈ સંભવિત કારણ જાણી શકાય.

