Site icon Gujarat Mirror

વાયબ્રન્ટ કોન્ફરન્સને લઈ હોટલોમાં પોલીસનું ચેકિંગ લેમન ટ્રી સહિત ત્રણ સંચાલકો વિરૂધ્ધ ગુનો નોંધાયો

રાજકોટમાં મારવાડી કોલેજ ખાતે રવિવારથી વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ યોજાવાની છે. જેમાં વડાપ્રધાન ઉપરાંત દેશ-વિદેશ ટોચના ઉદ્યોગપતિઓ હાજરી આપવાના હોય જેને લઈ પોલીસ દ્વારા શહેરની ભરની હોટલોમાં સઘન ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પથીક સોફટવેરમાં મુસાફરોની એન્ટ્રી ન કરનાર લેમન ટ્રી સહિત ત્રણ હોટલ સંચાલકો વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટ ખાતે આગામી તા.11-01-2026થી યોજાઈ રહેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખાસ ઉપસ્થિત રહેનાર છે. ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ અને દેશ-વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં હાજર રહેનાર હોય તે અનુસંધાને અનિચ્છનીય બનાવ બનતા અટકાવવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસની એસઓજી શાખાના પીઆઈ એસ એમ જાડેજાના નેતૃત્વ હેઠળ પીએસઆઇ વી વી ધ્રાંગુ, એમ વી જાડેજા, એસ બી ઘાસુરા અને વી કે ઝાલાની ટીમો દ્વારા ગત રાત્રીના અલગ અલગ હોટેલોમાં ચેકિંગ ડ્રાઇવ શરૂૂ કરવામાં આવી હતી.

દરમિયાન રેસકોર્સ નજીક જિલ્લા પંચાયત ચોક ખાતે આવેલ હોટલ લેમન ટ્રીમાં ચેકિંગ શરૂૂ કરવામાં આવ્યું હતું. જ્યાં લેમન ટ્રી હોટલમાં રોકાવા આવેલ મુસાફરોની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં નહીં થયાનું ધ્યાને આવતા એસઓજીની ટીમે હોટલના મેનેજર સોયબ ફારુકભાઈ શેખ (ઉવ 30 રહે. નીલ સીટી, બ્લોક નં-3, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક, રાજકોટ મૂળ રહે. ઉના,ગીર સોમનાથ) વિરુદ્ધ પોલીસ કમિશ્નરના હુકમનો ભંગ કરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત એસઓજીની ટીમે શરૂૂ કરેલ ચેકિંગમાં મોટી ટાંકી ચોક નજીક આવેલ હોટલ સ્વાગતમ ઈન ખાતે ચેકિંગ કરતા અહીં પણ મુસાફરોની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં નહીં કરાયાનું ધ્યાને આવતા એસઓજીની ટીમે મેનેજર પ્રદીપ જગદીશભાઈ ઘાઘરેટીયા (રહે મનહર પ્લોટ શેરી નં.-3, રાજકોટ મૂળ રહે. વિછીયા,રાજકોટ) વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે એસઓજીના ચેકીંગ દરમિયાન લીમડા ચોક નજીક આવેલ પેરામાઉન્ટ ઇન હોટલ ખાતે પણ પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર મુસાફરોની એન્ટ્રી પથીક સોફ્ટવેરમાં નહીં કર્યાનું ધ્યાને આવતા મેનેજર સુમંત રતિલાલભાઈ વ્યાસ (ઉવ 42 રહે. અમરનગર-2, શેરી નં.-7, મવડી, રાજકોટ મૂળ રહે. સાવરકુંડલા, અમરેલી) વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Exit mobile version