Site icon Gujarat Mirror

PM મોદી કાલે જામનગરમાં, રવિવારે વનતારાની મુલાકાતે

વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારી, પોલીસ દ્વારા સરકીટ હાઉસ ઉપર ચુસ્ત બંદોબસ્ત

મોડી રાત્રે આવી રાત્રી રોકાણ કરશે, જામસાહેબની પણ મુલાકાત લે તેવી શકયતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ માટે જામનગર જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે, અને તેઓનું આવતીકાલે રાત્રિના જામનગરના સર્કિટ હાઉસમાં રોકાણ થનાર છે.

આ મુલાકાતના પગલે સમગ્ર વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. વડાપ્રધાનના રાત્રિ રોકાણ માટે સર્કિટ હાઉસ ખાતે અભેદ કિલ્લેબંધી અને લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.

પોલીસ વિભાગ દ્વારા 750થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવશે, અને એસપીજી કમાન્ડોનું આગમન પણ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1લી તારીખે હવાઈ માર્ગે જામનગર એરપોર્ટ પર આવશે, અને ત્યાંથી તેઓ સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે.

તેઓ રિલાયન્સમાં વનતારાની મુલાકાત પણ લેશે. જોકે, હજુ સુધી તેમના સંપૂર્ણ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અને મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા એરપોર્ટથી લાલ બંગલા-સર્કિટ હાઉસ સુધી કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન મોટર માર્ગે એરપોર્ટથી લાલ બંગલા સુધી પહોંચે તે માટે સમગ્ર માર્ગ પર બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં 750થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનોની બંદોબસ્તની સ્કીમ તૈયાર કરવામાં આવી રહી છે.

જિલ્લા કલેક્ટર કચેરી અને જામનગર મહાનગરપાલિકાની ટીમ પણ તૈયારીઓમાં જોડાઈ છે.સર્કિટ હાઉસ ખાતે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, અને ટૂંક સમયમાં એસપીજી કમાન્ડોની ટીમ પણ અહીં આવશે.વડાપ્રધાનના રાત્રિ રોકાણના પગલે જામનગરમાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાને લઈને તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

Exit mobile version