અગાઉ બે લોકોના જીવ ગયા છતાં તંત્ર નિષ્ક્રિય, તાત્કાલિક મેન્ટનન્સ કરવા માંગ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામમાં વીજ વિભાગ PGVCLની ગંભીર બેદરકારી ફરી એક વખત સામે આવી છે. છેલ્લા દસ દિવસમાં ગામમાં ત્રણ વખત જીવતા ઇલેવન કેબલ વાયર તૂટી ને સીધા રોડ પર પડવાના બનાવો બન્યા છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે ભય અને આક્રોશ ફેલાયો છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ઘટના અત્યંત જોખમી છે કારણ કે તૂટેલા વાયર જીવતા હોવાના કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ગામમાં લોકોની અવરજવરવાળા રસ્તાઓ પર આ પ્રકારની ઘટનાઓ બનતા લોકો પોતાના જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ PGVCL ની બેદરકારીના કારણે બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમ છતાં, તંત્ર દ્વારા યોગ્ય અને સમયસર મેન્ટેનન્સ કરવામાં ન આવતા ફરી આવી ઘટનાઓ બનતા પ્રશ્નો ઊભા થયા છે ગામલોકોએ જણાવ્યું હતું કે, તેમની નજર સામે જ જીવતા વાયરો તૂટી ને રોડ પર પડ્યા હતા, જે દ્રશ્યો અત્યંત ભયજનક હતા. આ બનાવ બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને તંત્ર સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ઘાટવડ ગામના રહેવાસીઓએ તાત્કાલિક અસરથી લટકતા અને જોખમી વાયરોને દૂર કરવા, નિયમિત મેન્ટેનન્સ કરવાની અને વીજ પુરવઠા વ્યવસ્થાને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે. ગામજનોનું કહેવું છે કે, જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં મોટી જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી હાલમાં ગ્રામજનો તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવા માટે માંગ કરી રહ્યા છે, જેથી આવી જોખમી પરિસ્થિતિમાંથી રાહત મળી શકે તંત્ર ક્યારે જાગશે અને લોકોની સુરક્ષા માટે કડક પગલાં લેશે તે હવે જોવાનું રહ્યું.

