કચ્છના પ્રવેશદ્વાર ગણાતા સૂરજબારી ટોલપ્લાઝા પર ઓવરલોડ વાહનચાલકોએ બબાલ કરતાં કલાકો સુધી ટ્રાફિક અવરોધાયો હતો, જેના કારણે હજારો વાહનચાલકો અટવાયા હતા. પોલીસે દરમ્યાનગીરી કર્યા બાદ મામલો થાડે પડયો હતો. મંગળવારે સવારે અચાનક ટ્રાફિકજામ સર્જાયો હતો.
કથિત ઓવરલોડ ડમ્પરો દ્વારા વધારાના ટોલ ટેક્સ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. વધુ ટોલ વસૂલાતો હોવાના મામલે વાહનચાલકોએ ટોલ કર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને વાહનો ખડકી દીધા હતા. આ કારણે કચ્છ આવતા અને જતા વાહનો અટવાયાં હતાં. કલાકો સુધી ચાલેલી બબાલના કારણે ચારેક કલાક સુધી હાઈવે અવરોધાયો હતો.અંદાજે ચારેક કિલોમીટર સુધી વાહનોની લાંબી-લાંબી લાઈનો લાગી હતી. કંડલા, મુંદરા પોર્ટ આવતાં-જતાં વાહનો, અમદાવાદ, રાજકોટ જતાં હજારો વાહન અટવાયાં હતાં.
જટિલ ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. સામખિયાળી પોલીસે તાત્કાલિક સ્થળ પર મોરચો સંભાળ્યો હતો. પોલીસની દરમિયાનગીરીથી સમગ્ર મામલો થાડે પડયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સામખિયાળી સૂરજબારી પાસે અવાર નવાર ટ્રાફિકજામ સર્જાય છે. લભગભ દરેક વખતે અકસ્માતના કારણે અથવા તો રસ્તાના સમારકામના કારણે અગાઉ પણ કલાકો સુધી ટ્રાફિક અવરોધાયાના બનાવ બની ચૂક્યા છે.

