રાજકોટ જિલ્લામાં કરાર આધારિત ખેલ સહાયકોનો કોન્ટ્રાકટ પૂર્ણ થાય તે પહેલા જ છુટા કરી દેવાતા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે સહાયકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને ન્યાય નહીં મળે તો કચેરી ખાતે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
આ અંગે ખેલ સહાયક તરીકે નોકરી કરતા અને છુટા કરી દેવામાં આવેલા ઉમેદવારોએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી જણાવ્યું હતું કે તા.6 ફેબ્રુઆરીના રોજ જિલ્લાના 45 જેટલા ખેલ સહાયકોને મૌખીક સુચના આપી અને છુટા કરી દેવામાં આવ્યા છે. ડીપીઇઓ દ્વારા બીઆરસીને મૌખીક સુચના આપવામાં આવી છે અને બીઆરસીએ શાળાને આદેશ કરતા શાળાઓએ અમને છુટા કર્યાની જાણ કરી હતી. જયારે અમારો કોન્ટ્રાકટ હજી પુર્ણ થયો નથી અને છુટા કર્યા તો હજુ કેમ અમને રિન્યુના ઓર્ડર કરવામાં આવ્યા નથી.
વધુમાં જણાવ્યું હતું કે ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાન અમારી જગ્યા 49 જ રાખવામાં આવી છે અમે છેડાથી નહી પણ પરીક્ષા પાસ કરી મેરીટમાં આવ્યો બાદ નોકરી પર લાગ્યા છીએ અમારી જગ્યા વધારી અને કાયમી ભરતી કરવામાં આવે તેમજ હાલ અમારો કોન્ટ્રાકટ રિન્યુ કરવામાં આવે અમને છુટા કરતા પરિવારના ગુજરાનનો સવાલ પણુભો થયો છે.
આ અંગે રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા મનસુખ સાકરીયાએ કહ્યું હતું કે ઉતર, મધ્ય અને દક્ષીણ ગુજરાતમાં હાલ ખેલ સહાયકોની કરાર આધારીત નોકરીઓ શરૂ છે. જયારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જામનગરમાં છુટા કર્યા છે જે યોગ્ય નથી. જો ન્યાયીક કાર્યવાહી નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં શિક્ષણ કચેરી સામે આંદોલન કરવામાં આવશે.

