શહેરની ભાગોળે જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક નર્સિંગ કોલેજની હોસ્ટેલમા રહેતી પડધરીની છાત્રાએ એસીડપી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવી હતી. જ્યાં છાત્રાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ પડધરીની અને હાલ રાજકોટમાં જામનગર રોડ પર ઘંટેશ્વર પાસે આનંદ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતી અને નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ખુશ્બુ નટુભાઈ પરમાર નામની 20 વર્ષની છાત્રા ગઈ કાલે બપોરે હોસ્ટેલમાં હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર એસીડ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતા બેભાન હાલતમાં તત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની તબિયત કારગત નીવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડયો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક ખુશ્બુબેન પરમાર નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી કોલેજમાં બે દિવસની રજા હોવાથી તેના ઘરે પડધરી ગઇ હતી. જયાથી પરત હોસ્ટેલમાં આવી આત્મઘાતી પગલુ ભરી લીધું હોવાનું જાણવા મળ્યુ છે. નર્સિંગની છાત્રાના આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.

