સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખનારા તત્વો વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે કાલાવડ રોડ ઉપરની આદિત્ય હાઉસિંગ સોસાયટીમાં એક મકાનમાં પડવામાં આવેલા દરોડામાં એક મહિલાના ઘરેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી આ પિસ્તોલ આપનાર તેના મિત્રનું નામ ખુલ્યા બાદ એસઓજીની ટીમે તેના મિત્રની પણ ધરપકડ કરી છે.
એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક મહિલા પાસે ગેરકાયદેસર હથિયાર છે. આ બાતમીના આધારે પોલીસે અફરોજ નામની મહિલાના મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન રૂૂમમાં આવેલા એક કબાટમાં કપડાં નીચે સંતાડેલી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. એસઓજીને મળેલી આ પિસ્તોલમાં કોઈ મેગ્ઝીન નહોતું.
એસઓજીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી મહિલા અફરોજે કબૂલાત આપી છે કે આ હથિયાર તેનું નથી, પરંતુ પાલનપુરમાં રહેતા તેના મિત્ર અઝહરખાન પઠાણે તેને સાચવવા માટે આપ્યું હતું. આશરે છ મહિના પહેલા જ્યારે અઝહરખાન રાજકોટ આવ્યો હતો, ત્યારે તેણે અફરોજને આ પિસ્તોલ આપી હતી. અઝહરખાને માત્ર એક અઠવાડિયું હથિયાર સાચવવાનું કહીને પિસ્તોલ અફરોજને સોંપી હતી. એક અઠવાડિયું વીતી ગયા પછી પણ અઝહર પિસ્તોલ લેવા ન આવતા અફરોજે તેને કોલ કર્યો હતો. તે વખતે અઝહરે થોડા દિવસમાં લઈ જવાની વાત કરી હતી, પરંતુ આજ દિન સુધી તે હથિયાર પરત લેવા આવ્યો ન હતો.
એસઓજી સુધી આ બાતમી પહોંચતા જ સ્ટાફે તુરંત કાર્યવાહી કરી હથિયાર જપ્ત કર્યું હતું. બીજી તરફ, પોલીસે તાત્કાલિક અસરથી અઝહરખાનને પણ સકંજામાં લીધો છે. હાલ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે કે અઝહરખાન કયા હેતુથી રાજકોટમાં પિસ્તોલ લઈને આવ્યો હતો? તેણે આ પિસ્તોલ કોની પાસેથી મેળવી હતી? શું આ હથિયાર કોઈ મોટી ગુનાહિત પ્રવૃત્તિ માટે લાવવામાં આવ્યું હતું? પિસ્તોલ સાથે મહિલા અને તેનો મિત્ર પકડાયા બાદ એસઓજી આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે બંને ની કડક પૂછપરછ કરી છે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક , ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ ભરત બી. બસીયાની સુચનાથી એસઓજીના પોલીસ ઈન્સપેક્ટર એસ.એમ. જાડેજા, પીએસઆઈ વી.વી. ધ્રાંગુ, એ.એસ.આઈ. ઇન્દ્રસિંહ જાડેજા તથા ફિરોજભાઈ રાઠોડ, અરૂૂણભાઇ બાંભણીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, મૌલિકભાઈ સાવલીયા, દિગ્વિજયસિંહ ગોહીલ, હાર્દિકસિંહ પરમાર, યોગેન્દ્રસિંહ ઝાલા, મહિલા પોલીસ મોનાબેન બુસા, મહાવિરસિંહ જાડેજા નિર્મળસિંહ ઝાલાએ કામગીરી કરી હતી.

