સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. સુરતના ડભોલી વિસ્તારમાં રાજપુત ફળિયામાં રહેતાં દંપતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ દંપતીના લગ્ન હજુ ગત વર્ષે જ થયા હતા. એક વર્ષના ટૂંકા લગ્નગાળામાં દંપતીએ આત્મઘાતી પગલું ભરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ડભોલી ગામના રાજપુત ફળિયાની એક ચાલના રૂમમાં દંપતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પત્ની તેજલબેને રૂમમાં કપડાં ધોવાની ચોકડી પાસે છતમાં લાગેલા લોખંડના હૂક સાથે નાયલોનની પટ્ટી બાંધી ફાંસો ખાધો હતો. જ્યારે પતિ ભાવેશભાઈએ તે જ રૂમમાં સીલિંગ ફેનના હૂક સાથે નાયલોનની દોરી બાંધી જીવન ટૂંકાવ્યું હતું. એક જ સમયે બંનેની લાશ લટકતી જોતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
મૃતક ભાવેશ અને તેજલના લગ્ન માત્ર એક વર્ષ પહેલા જ થયા હતા. ઘટનાસ્થળેથી પોલીસને કોઈ ‘સુસાઈડ નોટ’ પણ મળી આવી નથી, જેના કારણે આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.

