Site icon Gujarat Mirror

મોસાદના ખોટા રિપોર્ટથી ગેરમાર્ગે દોરાયેલા નેતન્યાહુ જાસુસો પર ખફા

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ હવે વધુ જટિલ અને વિસ્ફોટક બની રહ્યું છે. ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ તેમની વિશ્વવિખ્યાત ગુપ્તચર એજન્સી ’મોસાદ’ના વડા ડેવિડ બાર્નેઆ પર ભારે ગુસ્સે ભરાયા હોવાના અહેવાલ છે. યુદ્ધ શરૂૂ થયાના ત્રણ અઠવાડિયા પછી પણ ઈરાનમાં કોઈ મોટો બળવો ન થતા નેતન્યાહુની રણનીતિ ઊંધી પડી છે. મોસાદે દાવો કર્યો હતો કે જો ઈરાન પર હુમલો થશે તો ત્યાંની જનતા ઈસ્લામિક શાસન વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવશે, પરંતુ હકીકતમાં ઈરાન વધુ મજબૂત બનીને વળતો પ્રહાર કરી રહ્યું છે.

અહેવાલો અનુસાર, મોસાદના આ જ રિપોર્ટના આધારે નેતન્યાહુએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન પર હુમલો કરવા માટે સહમત કર્યા હતા. 28 ફેબ્રુઆરીએ થયેલા હુમલા બાદ ટ્રમ્પ અને નેતન્યાહુ બંનેએ ઈરાની જનતાને બળવો કરવા હાકલ કરી હતી, પરંતુ જનતાએ શાસન ઉથલાવવાને બદલે દેશ સાથે ઉભા રહેવાનું પસંદ કર્યું છે. હવે નેતન્યાહુને ડર છે કે જો પરિણામ નહીં મળે તો ટ્રમ્પ ગમે ત્યારે સૈન્ય સહયોગ રોકી શકે છે.

મોસાદના પૂર્વ વડા યોસી કોહેને અગાઉ ચેતવણી આપી હતી કે ઈરાનમાં શાસન પરિવર્તન કરવું અત્યંત મુશ્કેલ છે. હવે વર્તમાન વડા ડેવિડ બાર્નેઆની યોજના નિષ્ફળ જતા ઈઝરાયલ અને અમેરિકા અન્ય દેશોની મદદ શોધવા મજબૂર બન્યા છે. બીજી તરફ, કુર્દિશ લશ્કરની મદદથી સરકાર ઉથલાવવાની આશા પણ ઠગારી નીવડી છે. કુર્દીશ યોધ્ધાઓ અને ઇરાન વચ્ચે જુની અદાવતો છે અને અમેરિકાએ હંમેશા કુર્દ પ્રજાને પ્રોત્સાહન અને સહાયો આપી છે.

આ એ કુર્દ યોધ્ધાઓ છે જેણે ઇજિપ્ત અને સિરિયામાંથી ઇસ્લામીક સ્ટેટના આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો છે. એ કુર્દ લડાયકો આ વખતે ઇઝરાયેલની ધારણા પ્રમાણે ઇરાનને પછાડી શકયા નથી.

Exit mobile version