ગાંધીગ્રામમાં માટી મુદ્દે ઝઘડો તથા વૃધ્ધને સગી બહેને લાકડીના ઘા ઝીંકયા
શહેરમાં આજી ડેમ ચોકડી પાસે 25 વારીયામાં રહેતો યુવાન માંડાડુંગર પાસે હતો ત્યારે ઉછીના આપેલા રૂપિયા 500ની ઉઘરાણી કરતાં સાળાના પુત્ર સહિત બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સીવીલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત યુવકનું નિવેદન નોંધ્યુ હતું.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, આજી ડેમ ચોકડી પાસે 25 વારીયામાં રહેતાં ઈમ્તિયાઝ ઈઝામભાઈ શાહમદાર નામનો 40 વર્ષનો યુવાન બપોરના ચારેક વાગ્યાના અરસામાં માંડાડુંગર પાસે હતો ત્યારે સાળાના પુત્ર સંજય અને સંજયના બનાવીએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં ઈમ્તિયાઝ શાહમદારે મુન્નીબેન સાથે પ્રેમ લગ્ન કર્યા છે અને મુન્નીબેનના ભત્રીજા સંજયને રૂા.500 આપ્યા હતાં. જે રૂપિયાની ઉઘરાણી કરતાં હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બીજા બનાવમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા જીવંતિકાનગરમાં રહેતાં નિલેશભાઈ મુળજીભાઈ નડિયાપરા (ઉ.62) પોતાના ઘર પાસે હતાં ત્યારે તેની સગી બહેન નિતાબેને માટી મુદ્દે ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. વૃધ્ધને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

