Site icon Gujarat Mirror

રાજકોટ જિલ્લાની 867 શાળામાં અઢાર હજારથી વધારે બાળકોને અપાશે પ્રવેશ

પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણીની તંત્ર દ્વારા શરૂ કરાયેલી તૈયારીઓ

રાજ્ય સરકાર દ્વારા ક્ધયા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમજ બાળકોને ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવવા માટે આગામી તા.26 થી 28 જૂન દરમિયાન રાજકોટ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ-2025ની ઉજવણી કરવામાં આવશે. પ્રવેશોત્સવ દ્વારા રાજકોટ જિલ્લાના કુલ 18,517 ભૂલકાંઓનો શાળા પ્રવેશ કરાવવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત 846 અને જેતપુર તથા ઉપલેટામાં નગર શિક્ષણ સમિતિ સંચાલિત 21 પ્રાથમિક શાળા કાર્યરત છે. જેમાં હાલમાં 54,331 કુમાર તથા 52,337 ક્ધયા મળી કુલ 1 લાખ 6 હજાર 668 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વર્ષે શાળાઓમાં ધો.1માં 4,976 વિદ્યાર્થીઓ તેમજ બાલવાટિકામાં 13,541 વિદ્યાર્થીઓ મળી કુલ 18,517 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ થશે.

તાલુકા અનુસાર બાલવાટિકા વર્ગમાં ધોરાજી તાલુકાના 739, ગોંડલ તાલુકાના 118, જામકંડોરણાના 480, જેતપુરના 1109, જસદણના 1669, કોટડાસાંગાણીના 857, લોધિકાના 632, પડધરીના 637, રાજકોટના 2153, ઉપલેટાના 1071 અને વિંછીયા તાલુકાના 1128 એમ કુલ 13541 વિદ્યાર્થીઓ અને ધોરણ 1મા ધોરાજી તાલુકાના 41, ગોંડલ તાલુકાના 339, જામકંડોરણાના 24, જેતપુરના 34, જસદણના 1912, કોટડાસાંગાણીના 46, લોધિકાના 48, પડધરીના 13, રાજકોટના 2465, ઉપલેટાના 29 અને વિંછીયા તાલુકાના 25 એમ કુલ 4976 વિદ્યાર્થીઓ શાળા પ્રવેશ કરશે. ત્યારે શાળકીય નવા વર્ષના શુભારંભ સાથે શાળાઓ ભૂલકાંઓના કિલ્લોલથી ગૂંજી જીવંત થશે.

 

Exit mobile version