Site icon Gujarat Mirror

રિસામણે બેઠેલી પરિણીતા પુત્રને મળવા આવતા જેઠ-જેઠાણી અને સાસુનો હુમલો

oplus_2097152

શહેરમાં રૈયાધાર વિસ્તારમાં સાસરિયું ધરાવતી અને હાલ છેલ્લા છ મહિનાથી વાંકાનેરમાં માવતરના ઘરે રિસામણે બેઠેલી પરિણીતા ગઈકાલે પુત્રને મળવા આવી હતી. ત્યારે બે જેઠાણી અને સાસુએ ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં રૈયાધાર વિસ્તારમાં ગૌશાળા પાસે રહેતી દિવ્યાબેન કિશોરભાઈ શિંગાળા નામની 31 વર્ષની પરિણીતા પોતાના સસરાના ઘરે હતી ત્યારે જેઠાણી મુક્તાબેન અને કિરણબેન તેમજ સાસુ લખુબેન સહિતનાએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી દિવ્યાબેન શિંગાળાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પ્રાથમિક પૂછપરછમાં દિવ્યાબેન શિંગાળાના 13 વર્ષ પૂર્વે લગ્ન થયા છે અને સંતાનમાં બે પુત્ર છે દિવ્યાબેન શિંગાળા છેલ્લા છ મહિનાથી વાંકાનેર રહેતા માવતરના ઘરે રિસામણે બેઠી છે ગઈકાલે બંને પુત્રોને મળવા આવતા જેઠાણી અને સાસુએ તું અહીં કેમ આવી તેમ કહી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version