રમકડા અને ખાણી-પીણીના સ્ટોલમાં 5000 સુધી, મોટા સ્ટોલ-પ્લોટમાં 5000થી 8000 અને મોટી રાઇડ્સના પ્લોટમાં 8000થી 12000 વધશે
રાજકોટના સુપ્રસિદ્ધ પરંપરાગત લોકમેળાના આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા કમર કસી લેવામાં આવી છે. શહેરના રેસકોર્સ મેદાનમાં યોજાનારા આ ભવ્ય લોકમેળાને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્રએ આ વર્ષે સુરક્ષા અને વ્યવસ્થામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.
વહીવટી તંત્ર દ્વારા મેળાના 228 જેટલા સ્ટોલની અપસેટ પ્રાઈઝમાં રૂૂ. 2,000 થી લઈને રૂૂ. 12,000 સુધીનો વધારો ઝીંકવામાં આવતા વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. રમકડાં અને નાની ખાણી-પીણી: રૂૂ. 2,000 થી રૂૂ. 5,000 સુધીનો વધારો. કોમર્શિયલ પ્લોટ અને મોટા સ્ટોલ: રૂૂ. 5,000 થી રૂૂ. 8,000 સુધીનો વધારો. મોટી રાઈડ્સ: રૂૂ. 10,000 થી રૂૂ. 12,000 સુધીનો સૌથી વધુ વધારો. આ ભાવવધારાના વિરોધમાં આગામી સપ્તાહે તમામ સ્ટોલ ધારકો રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એક મહત્વની મિટિંગ યોજી આગામી રણનીતિ ઘડશે.
આ વર્ષનો મેળો ’સ્માર્ટ અને સુરક્ષિત’ બનાવવા માટે તંત્ર દ્વારા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.મેળામાં ઉડતા ડ્રોન માત્ર વીડિયો રેકોર્ડિંગ નહીં કરે, પરંતુ તે AI સોફ્ટવેરથી સજ્જ હશે. જે સ્થળે ભીડ ક્ષમતા કરતા વધી જશે, તેનું રિયલ-ટાઇમ એનાલિસિસ કરીને આ ડ્રોન કંટ્રોલ રૂૂમને એલર્ટ મોકલશે. 125 ખાનગી સિક્યુરિટી ગાર્ડ્સ, હાઈ-ડેફિનેશન CCTV કેમેરા અને સેન્ટ્રલ મોનિટરિંગ કંટ્રોલ રૂૂમ દ્વારા દરેક ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવશે. 14 મુખ્ય ટાવર અને 36 સાઉન્ડ ટાવર સાથે ત્રણ ખાસ વિશ્રામગૃહો બનાવવામાં આવશે. સ્વચ્છતા માટે મહાનગરપાલિકાને ચોવીસ કલાક શિફ્ટમાં સફાઈ કામદારો તૈનાત રાખવા આદેશ અપાયો છે.
મેળાના સફળ આયોજન માટે 100થી વધુ અધિકારીઓને સ્પેશિયલ ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. લોકમેળાના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને વિધિવત આમંત્રણ પાઠવી દેવામાં આવ્યું છે. આ વર્ષે પણ ગત વર્ષની પરંપરા મુજબ બપોરના સમયે જ મેળાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. તંત્રના આ આયોજનથી મેળો ભવ્ય તો બનશે, પરંતુ વેપારીઓ અને તંત્ર વચ્ચે ભાવવધારાને લઈને સર્જાયેલો વિવાદ આગામી દિવસોમાં ચર્ચાનો વિષય બનશે તે નક્કી છે.
સોમવારથી ફોર્મ વિતરણનો પ્રારંભ
લોકમેળામાં ભાગ લેવા ઈચ્છતા નાના-મોટા વેપારીઓ, ખાણી-પીણીના સંચાલકો અને રાઈડ્સ માલિકો માટે આગામી સોમવારથી ફોર્મ વિતરણની પ્રક્રિયાનો પ્રારંભ થશે. અરજદારોએ કોર્ટ રોડ પર આવેલા ’તોરલ બિલ્ડિંગ’ ખાતેની ઇન્ડિયન બેંક પાસેથી નિયત ફોર્મ મેળવી, તમામ વિગતો સાથે ત્યાં જ જમા કરાવવાના રહેશે. તંત્ર દ્વારા આ કામગીરી માટે નાયબ મામલતદાર, તલાટી અને કારકુન એમ ત્રણ અલગ-અલગ ટીમોની નિમણૂક કરવામાં આવી છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 જુલાઈ નક્કી કરવામાં આવી છે.

