Site icon Gujarat Mirror

પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 3 મૃતકને અંતિમ વિદાય: સુરતમાં યુવક અને ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા

 

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે (22મી એપ્રિલ, 2025) થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે. સુરતમાં મૃતક યુવક શૈલેષભાઈ કળથિયા અને ભાવનગરમાં મૃતક પિતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને પુત્ર સ્મિત યતીશભાઈ પરમારના પાર્થિવ દેહને વતન લાવવમાં આવ્યા છે. ત્રેયની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. આ દુ:ખની ઘડીમાં પાટીલ-CMએ પણ પરિવારને સાંત્વના આપી હતી.

મૃતક સ્મિત અને યતીશભાઈના પાર્થિવ દેહને ભાવનગર લાવવામાં આવ્યા હતા. બંને પિતા-પુત્રોની અંતિમ યાત્રા એકસાથે નીકળતાં સમગ્ર શહેરના લોકો હિબકે ચઢ્યાં હતા. મૃતક પિતા-પુત્રના મૃતદેહને ઘરે લાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

તો બીજી તરફ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરતમાં શૈલેષ કળથિયાની અંતિમ વિધિમાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી તથા ભાજપ શહેર પ્રમુખ સી. આર. પાટીલ, પ્રફુલ પાનસેરિયા, મુકેશ પટેલ પણ હાજરી આપી હતી અને મૃતકના પરિવારજનોની મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. જ્યારે ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. જોકે આ ભયાનક આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ હજુ સુધી પકડાયા નથી.

Exit mobile version