રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં પુત્રએ પોતાના જ જન્મદાતા માતા-પિતા પર હુમલો કર્યો છે.શહેરના ઈશ્વર પાર્ક શેરી નંબર-1 માં રહેતા 63 વર્ષીય મુકેશભાઈ કાળુભાઈ લાડવા ગઈકાલ સવારે આશરે 09:00 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હાજર હતા, ત્યારે તેમના પુત્ર મેહુલે ઝઘડો શરૂૂ કર્યો હતો. ઉશ્કેરાયેલા મેહુલે પોતાના પિતાને ઢીકા-પાટુનો માર મારતા મુકેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેના કારણે તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભોગ બનનાર મુકેશભાઈ દરજીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે. આ ઘટના પાછળનું મુખ્ય કારણ પુત્ર મેહુલની બેજવાબદારી હોવાનું જાણવા મળ્યું છે. મેહુલ કોઈ કામ-ધંધો કરતો નથી અને નવરો રખડતો હોવાથી ઘરમાં અવારનવાર ક્લેશ થતો રહે છે. તે વાત-વાતમાં ઝઘડો કરવાની ટેવવાળો છે અને અગાઉ પણ પિતા સાથે મારપીટ કરી ચુક્યો છે. પિતાને બચાવવા વચ્ચે પડેલા માતા મીનાક્ષીબેનને પણ આ કળિયુગી પુત્રએ છોડ્યા નહોતા.
સ્થાનિકો અને પરિવારના જણાવ્યા અનુસાર, મેહુલની આદતોમાં કોઈ સુધારો આવતો નથી. પિતા દ્વારા તેને કામ-ધંધો કરવા માટે સમજાવવામાં આવતા તે ઉશ્કેરાઈ જાય છે.વૃદ્ધાવસ્થામાં જે પુત્ર લાકડીનો ટેકો બનવો જોઈએ, તેના બદલે તે જ પુત્ર કાળ બનીને માતા-પિતા પર હાથ ઉપાડી રહ્યો છે.

