ચોમાસાને પગલે પાણીજન્ય રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ તાવ, શરદી, કમળો, ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે. ત્યારે નવાગામના યુવાનનું કમળાથી મોત નીપજ્યુ હતું જયારે કોટાડાસાંગાણીના બગદળી ગામે રહેતા શ્રમિક પરિવારના માસુમ બાળકને તાવ ભરખી જતા તેનુ મોત થયુ હતું. તાવ અને કમળાથી બાળક સહિત બે લોકોના મોત નીપજતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નવાગામ આણંદપરમાં આવાસ કવાર્ટરમાં રહેતો હનીફ અલીભાઇ ગોરી, (ઉ.વ.30) નામનો યુવાને આજે સવારે પોતના ઘરે બેભાન થઇ જતા તેેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા રોડ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રથામિક તપાસમાં મૃતક હનીફ ત્રણ બહેનોનો એકનો એક નાનો ભાઇ હતો.
તે મજૂરી કામ કરતો હતો. તેને કમળો થઇ ગયો હતો. કમળાની બિમારીથી મોત નીપજ્યાનું જાણવા મળ્યુ છે. જયારે બીજા બનાવમાં કોટડાસાંગણીના બગદળી ગામે મહેશ ધીરુભાઇ છયાની વાડીમાં મજૂરી કામ કરતા ભાયાભાઇ ભૂરીયાનો છ વર્ષનો પુત્ર ગણેશને ચાર દિવસથી તાવ આવતો હોય જેથી પરિવારજનો દ્વારા દવા લેવામાં આવી હતી. દરમિયાન આજે સવારે ગણશે બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પરંતુ અહીં તેનુ મોત નીપજ્યુ હતું પ્રથામિક તપાસમાં શ્રમિક પરિવાર મુળ મધ્યપ્રદેશનો વતની છે અને આઠ દિવસ પહેલા અહીં મજૂરી કામે આવ્યો હતો. મૃતક ગણેશ એક ભાઇ એક બહેનમાં નાનો હતો. માસુમ બાળકના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

