Site icon Gujarat Mirror

જૈશના વડા મસૂદ અઝહરના ભાઇનું ભેદી સંજોગોમાં મોત

પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સંગઠનના વડા અને કુખ્યાત આતંકવાદી મસૂદ અઝહરના મોટા ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના સૂત્રોએ પણ આ મૃત્યુની પુષ્ટિ કરી છે, જોકે અનવરના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી રહસ્યના પડદા પાછળ છે.

મોહમ્મદ તાહિર અનવર જૈશ-એ-મોહમ્મદના સંગઠનાત્મક માળખામાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવતો હતો. તે આતંકવાદી પ્રવૃત્તિઓમાં માત્ર સક્રિય જ નહોતો, પરંતુ જૈશની વ્યૂહરચના ઘડવામાં પણ તેની મોટી ભૂમિકા હોવાનું મનાય છે. અનવરના મૃત્યુને પગલે સુરક્ષા એજન્સીઓ હાલમાં હાઈ એલર્ટ પર છે અને પાકિસ્તાની સોશિયલ મીડિયા પર પણ આ અંગેના સંદેશાઓ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તાહિર અનવરને પાકિસ્તાનના બહાવલપુરમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયમાં દફનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જે સ્થળે અનવરનું મૃત્યુ થયું છે ત્યાં જૈશની મહિલા પાંખ, જમાત-ઉન-મોમિનત કાર્યરત છે. જૈશ સાથે જોડાયેલા આતંકવાદી ગ્રુપોમાં મૌલાના મસૂદ અઝહરના મોટા ભાઈ હકીમ મોહમ્મદ તાહિર અનવરનું અલ્લાહની ઈચ્છાથી અવસાન થયું છે તેવા શોક સંદેશાઓ પણ વહેતા થયા છે.

Exit mobile version