Site icon Gujarat Mirror

ભારતને સસ્તું તેલ આપતા ઈરાકનો 15 વર્ષથી બંધ બોર્ડર રૂટ ખુલ્યો

ભારત જે દેશો પાસેથી કાચું તેલ ખરીદે છે, તેમાં સામેલ ઈરાક માટે એક મોટો ફેરફાર થયો છે. ઈરાક અને સીરિયા વચ્ચે 10 વર્ષથી વધુ સમયથી બંધ પડેલી બોર્ડર ક્રોસિંગ ફરીથી ખોલી દેવામાં આવી છે. આ ક્રોસિંગને ઈરાકમાં ’રબિયા’ અને સીરિયામાં ’યારુબિયા’ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2011માં સીરિયામાં ફાટી નીકળેલા ગૃહયુદ્ધ બાદ આ સરહદ બંધ કરી દેવામાં આવી હતી.

ત્યારબાદ 2014માં ઈસ્લામિક સ્ટેટ (ISIS) એ આ વિસ્તાર પર કબજો જમાવ્યો હતો. જોકે, પાછળથી ઈરાકી કુર્દ દળોએ તેને ફરી પોતાના નિયંત્રણમાં લીધું હતું. હવે સોમવારે આ બોર્ડર ફરીથી ખોલવામાં આવી છે. બંને દેશોના અધિકારીઓએ અહીં મળીને વેપાર વધારવા અને અવરજવર સરળ બનાવવા પર ચર્ચા કરી હતી.

ઈરાકના નિનેવે પ્રાંતના નેતા નાદિયા અલ-જુબૌરીએ જણાવ્યું હતું કે, આનાથી વેપાર વધશે અને તેલ સપ્લાય માટે એક મોટો નવો માર્ગ મળશે. ઉલ્લેખનીય છે કે ભારતની કુલ તેલ આયાતનો પાંચમો ભાગ ઈરાકથી આવે છે. ઈરાકની અર્થવ્યવસ્થા મોટાભાગે તેલ પર આધારિત છે. તેના બજેટનો લગભગ 90% હિસ્સો તેલની આવકમાંથી આવે છે.

અત્યાર સુધી ઈરાકનું મોટાભાગનું તેલ દરિયાઈ માર્ગે ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ દ્વારા મોકલવામાં આવતું હતું. આ એક અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે, કારણ કે વિશ્વનું લગભગ 20% તેલ અહીંથી પસાર થાય છે. નવી બોર્ડર ક્રોસિંગ ખુલવાથી હવે ઈરાક પાસે તેલ મોકલવા માટે બીજો વિકલ્પ ઉપલબ્ધ થયો છે. આનાથી દરિયાઈ માર્ગ પરની નિર્ભરતા ઓછી થઈ શકે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવની સ્થિતિ પ્રવર્તે છે.

Exit mobile version