Site icon Gujarat Mirror

ઇરાનના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મહોમ્મદીને 44 વર્ષની જેલ

અત્યાર સુધીમાં 13 વખત ધરપકડ, 5 વખત દોષિત ઠરી ચૂકયા છે

ઈરાનમાં માનવાધિકાર અને મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવનાર નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીને ઈરાની સરકારે ફરી એકવાર મોટો ઝટકો આપ્યો છે. તેમને વધુ એકવાર સાડા સાત વર્ષની વધારાની જેલની સજા ફટકારવામાં આવી છે, જેના કારણે વિશ્વભરમાં ઈરાની શાસન સામે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ નવા ચુકાદા સાથે નરગીસની જેલની સજા 44 વર્ષ થઇ ચૂકી છે. નરગીસ અત્યાર સુધીમાં 13 વખત ધરપકડ અને 5 વખત દોષિત ઠરી ચૂક્યા છે.

53 વર્ષીય નરગીસ મોહમ્મદી એક જાણીતા ઈરાની એક્ટિવિસ્ટ, એન્જિનિયર અને લેખિકા છે. તેઓ નોબેલ વિજેતા શિરીન એબાદી દ્વારા સ્થાપિત ’ડિફેન્ડર્સ ઓફ હ્યુમન રાઈટ્સ સેન્ટર’ (DHRC) ના ઉપાધ્યક્ષ છે. નરગીસ છેલ્લા દાયકાનો મોટાભાગનો સમય જેલમાં જ વિતાવી ચૂક્યા છે. ઈરાની સત્તાવાળાઓ તેમના પર રાજ્ય વિરુદ્ધ પ્રચાર કરવાનો અને વિરોધ પ્રદર્શનો યોજવાનો આરોપ લગાવે છે, જ્યારે તેમના સમર્થકોનું કહેવું છે કે આ બધું માત્ર તેમના શાંતિપૂર્ણ આંદોલનને દબાવવા માટે કરવામાં આવી રહ્યું છે.

નરગીસ મોહમ્મદીને 12 ડિસેમ્બર, 2025ના મશહદ ખાતે પકડવામાં આવ્યા હતા. તેઓ ત્યાં માનવાધિકાર વકીલ ખોસરો અલીકોર્ડીની શોકસભામાં હાજરી આપવા ગયા હતા. ઈરાની સરકારે તેમના પર ભડકાઉ ભાષણ આપવા, નિયમો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા અને શાંતિ ભંગ કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે. જ્યારે 2023 માં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર જાહેર થયો ત્યારે તેઓ તેહરાનની કુખ્યાત જેલમાં બંધ હતા.

Exit mobile version