Site icon Gujarat Mirror

જંગલેશ્વરમાં પતિએ પત્નીને ચારિત્ર્ય પર શંકા કરી છરીના આડેધડ ઘા ઝીંકી દીધા

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલી ગાંધીનગર સોસાયટીમાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જેમાં પતિએ જ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી તેના પર જીવલેણ હુમલો કર્યો છે.

મળતી માહિતી મુજબ, 30 વર્ષીય શહેનાઝબેન મોઇનભાઈ ગોગદા પર તેમના પતિ મોઇને આજે સવારે નિર્દયતાપૂર્વક છરી વડે હુમલો કર્યો હતો. જ્યારે શહેનાઝબેન પોતાના ઘરના કામકાજમાં વ્યસ્ત હતા અને વોશિંગ મશીનમાં કપડાં નાખી સોફા પર બેઠા હતા, ત્યારે મોઇન ત્યાં આવી પહોંચ્યો હતો. બંને વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી, જે બાદ ઉશ્કેરાયેલા પતિએ ઘરમાં રહેલી છરી વડે શહેનાઝબેનના શરીર અને પગના ભાગે અનેક ઘા ઝીંકી દીધા હતા.

હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા શહેનાઝબેનને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. બીજી તરફ, પોતાની પત્ની પર જીવલેણ હુમલો કર્યા બાદ આરોપી પતિ મોઇન ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. આ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ભક્તિનગર પોલીસ મથકમાં આરોપી પતિ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા નાસી છૂટેલા આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

Exit mobile version