બીમારીમાં સપડાયેલી પત્ની જાતે નાહી નહીં શકતા વાળ કાપ્યાનું પતિનું રટણ
મોરબીના જાંબુડિયા ગામે બીમારીમાં સપડાયેલી પત્ની જાતે નાહી નહીં શકતા પતિએ વાળ કાપી નાખ્યા હતા. જેનો ખાર રાખી બે સાળાએ નિદ્રાંધીન બનેવીને નિવસ્ત્ર કરી ગુપ્તાંગમાં છરી મારી દીધી હોવાના આક્ષેપ સાથે આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીના જાંબુડિયા ગામે રહેતા બળદેવભાઇ જેન્તીભાઇ ઉધરેજા નામના 50 વર્ષના આધેડ સાંજના છએક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતા ત્યારે તેના સાળા બાલા અને રતને ગુપ્તાંગમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો.
આધેડને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં બળદેવભાઇ ઉધરેજા નીસંતાન છે અને તેમની પત્ની મજૂબેન બીમારીમાં સપડતા પોતાની જાતે નાહી નહીં શકતા બળદેવભાઇએ વાળ કાપી નાખ્યા હતા. બહેનના વાળ કાપી નાખ્યાનો ખાર રાખી બંને સાળાએ નિદ્રાંધીન બનેવીને નિવસ્ત્ર કરી ગુપ્તાંગમાં કોઇ વસ્તુ વડે ઇજા પહોંચાડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

