Site icon Gujarat Mirror

‘કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે’, વનતારા કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્વનું નિવેદન

 

ગુજરાતના જામનગરના વનતારા વન્યજીવન કેન્દ્ર કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ હાથી રાખવા માંગે છે અને બધા નિયમોનું પાલન કરીને આવું કરે છે, તો તેમાં શું ખોટું છે. કોર્ટે આજે(15 સપ્ટેમ્બર, 2025) કેસની સુનાવણી પૂર્ણ કરતી વખતે આ વાત કહી છે. જોકે, કોર્ટે હજુ સુધી કોઈ આદેશ પસાર કર્યો નથી.

આજની સુનાવણીમાં વિશેષ તપાસ ટીમનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો.વનતારામાં ગેરકાયદેસર વન્યજીવન સ્થાનાંતરણ અને હાથીઓના ગેરકાયદેસર કેદની સંપૂર્ણ તપાસની માંગ કરતી સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. 25 ઓગસ્ટના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે આ આરોપોની તપાસ માટે એસઆઈટી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.

એસઆઈટીમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ જે. ચેલમેશ્વર, ઉત્તરાખંડ અને તેલંગાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રાઘવેન્દ્ર ચૌહાણ, મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર હેમંત નાગરાલે અને વરિષ્ઠ આઈઆરએસ અધિકારી અનિશ ગુપ્તાનો સમાવેશ થાય છે.

જસ્ટિસ પંકજ મિથલ અને જસ્ટિસ પ્રસન્ના વરાલેની બેન્ચે આટલા ઓછા સમયમાં રિપોર્ટ રજૂ કરવા બદલ એસઆઈટીની પ્રશંસા કરી હતી. વનતારા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે અમે નથી ઇચ્છતા કે આખો રિપોર્ટ જાહેર થાય. દુનિયામાં ઘણા લોકોનો અમારી સાથે વ્યાપારિક દુશ્મનાવટ છે. તેઓ તેનો દુરુપયોગ કરી શકે છે. આના પર જસ્ટિસ મિથલે કહ્યું કે કોર્ટ આવું થવા દેશે નહીં. અમે તમને રિપોર્ટ આપીશું જેથી તમે જ્યાં જરૂર હોય ત્યાં સુધારા કરી શકો.

એડવોકેટ હરીશ સાલ્વેએ કહ્યું કે અલબત્ત, અમે જરૂરી પગલાં લઈશું. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે સમિતિનો રિપોર્ટ આવી ગયો છે. તે અમારા દ્વારા નક્કી કરાયેલા પ્રશ્નો પર છે. હવે કોઈને વારંવાર એક જ પ્રશ્ન ઉઠાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

જ્યારે અરજદારે મંદિરના હાથીઓનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે બેન્ચે તેમને પૂછ્યું, ‘તમને કેવી રીતે ખબર પડી કે મંદિરના હાથીને ત્યાં યોગ્ય રીતે રાખવામાં આવી રહ્યો નથી?’ કોર્ટે કહ્યું કે આપણા દેશમાં ઘણી બધી બાબતો છે, જેના પર આપણે ગર્વ કરી શકીએ છીએ. તેમને બિનજરૂરી વિવાદોમાં ફસાવા ન જોઈએ. કોર્ટે કહ્યું કે જો કોઈ હાથી રાખવા માંગે છે અને બધા નિયમોનું પાલન કરીને આવું કરે છે, તો તેમાં શું ખોટું છે?

Exit mobile version