Site icon Gujarat Mirror

સમાધાન થઇ જાય તો સૌ પોતપોતાનું કામ કરે અને કાયદો કાયદાનું કામ કરે

સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા અને પી.આઇ. સંજય પાદરીયા વચ્ચે મારામારીના વિવાદમાં જયંતિ સરધારાએ પહેલા પાદરીયાનો કાંઠલો પકડી લાત માર્યાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા બાદ આજે જયંતિ સરધારાએ મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, પીઆઇ પાદરીયાએ મને જણાવેલ કે તું ઓળખતો નથી હું પી.આઇ. છુ, મેં કેટલાયને ખોઇ નાખ્યા છે, તું પણ ખોવાઇ જઇશ, એ રીતે ઉગ્ર થઇ હાથ ઉંચો કર્યોે એટલે તેને દૂર કરવા માટે પગથી મેં ધકકો માર્યો હતો.


હવે શું થવુ જોઇએ ? તેવા પ્રશ્નના જવાબમાં તેણે જણાવેલ કે, એક જ વસ્તુ સમાધાન થઇ જાય તો સૌ પોત પોતાનુ કામ કરે અને કાયદો કાયદાનું કામ કરે. જેને ગુનો કર્યો છે તેને સજા થવી જોઇએ. એક પી.આઇ. કક્ષાનો માણસ આ રીતે એક આગેવાન ઉપર હુમલો કરે તે ખુબ નિંદનીય છે.
ભૂતકાળમાં પી.આઇ. પાદરીયાએ કેટલા કૌભાંડો કર્યા છે તે આખા સમાજને ખબર છે.


ખોડલધામ અને સરદારધામના પ્રવકતાઓએ કહયુ કે, આ મામલામાં સમાજને કાંઇ લેવા દેવા નથી, આ બન્નેની વ્યકિતગત બાબત છે, તો તે અંગે તમારૂ શુ કહેવુ છે ? જવાબમાં જયંતિ સરધારાએ જણાવ્યુ હતુ કે, પ્રવકતાને કંઇક લાભ થતો હશે એટલે કહેતા હશે. મારે અને પી.આઇ.ને કોઇ શેઢો સહિયારો નથી. એક મિનિટથી વધુ કયારેય અમે વાત કરી નથી. નરેશભાઇના હું ગત તા. 7 ના રોજ આશિર્વાદ લેવા ગયો હતો. ખોડલધામના કોઇપણ કાર્યકરે મને કામ સોંપ્યુ હોય અને કામ કર્યુ હોય તેવો કોઇ રેકોર્ડ નથી. મને ખોડલધામ પ્રત્યે કોઇ અણગમો નથી.


તમામ આગેવાનો કહે છે કે આ બન્નેનો અંગત મામલો છે તેવુ પુછતા જવાબમાં સરધારાએ જણાવેલ કે, આવા બનાવમાં મોટાભાગે સૌ મોઢા છૂપાવતા હોય છે, હું સ્પષ્ટ વકતા છુ.


સરદારધામ-ખોડલધામના આગેવાનોએ આવીને મધ્યસ્થી કરવી જોઇએ ? તેવા સવાલમાં જણાવેલ કે, હું માતાજીને પ્રાર્થના કરૂ છુ કે, બધાને સદબુધ્ધી આપે અને સમાધાન થાય. હું ડે-વનથી કહુ છુ કે, સમાધાન થવુ જોઇએ.

Exit mobile version