રાજકોટના આનંદ બંગલા ચોક પાસેની ઘટના: માતા અને પત્ની કામે ગયા ત્યારે ગળેફાંસો ખાઇ પગલુ ભરી લીધું
શહેરના આનંદ બંગલા ચોક પાસે ગુરૂપ્રસાદ ચોક નજીક ડાલીબાઇ છાત્રાલયની સામે રહેતા બકાલાના વેપારીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. આ અંગે પોલીસે તપાસ કરતા મૃતક પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં આઇ લવ યુ, આઇ મીસ યુ…. અને હેપી એનીવર્સરી પત્નીને સંબંધી લખાણ લખ્યું હતું. આ મામલે હવે કારણ જાણવા માલવીયા પોલીસ મથકનો સ્ટાફ તપાસ ચલાવી રહ્યો છે.
બનાવની વિગતો અનુસાર ગુરૂપ્રસાદ ચોક પાસે ડાલીબાઇ છાત્રાલયની સામે રહેતા અને બકાલાનો વેપાર કરતો કરણ મુકેશભાઇ પતરીયા (લોધા) (ઉ.વ.25) એ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેમના લગ્નને એક વર્ષ અને એક મહીનો થયો છે. તેમના પત્ની રશ્મિબેન અને માતા ગાયત્રીબેન બન્ને કારખાનામાં મજુરી કરે છે. ગઇકાલે સાંજે માતા અને પત્ની કામે ગયા હતા ત્યારે કાકાનો દીકરો તરલ ત્યાં ઘરે આંટો મારવા ગયો ત્યારે કરણ ત્યાં લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.
આ ઘટના બાદ તરલે પોલીસ અને પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ હેડકોન્સ્ટેબલ કે.જી. ઝાલા અને સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે જેમાં પત્નીને સંબોધીને લખ્યુ હતું કે, આઇ લવ યુ, આઇ મીસ યુ…. અને હેપ્પી એનીવર્સરી ડે. આ ઘટનામાં પરિવારજનોને શંકા જતા મૃતકનું ફોરેન્સિક પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાયું છે.

