Site icon Gujarat Mirror

પત્ની-પુત્ર અને પત્નીના પ્રેમીને ટ્રક હેઠળ કચડી મારનાર પતિને આજીવન કેદ

સાડા ત્રણ વર્ષ પૂર્વેના ત્રિપલ મર્ડર કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો

પત્ની પુત્રને લઇ પ્રેમી સાથે રહેવા ચાલી જતા ખેલ્યો હતો ખૂની ખેલ

શહેરમા આજીડેમ ચોકડી નજીક આવેલા રામવન પાસે સાડા ત્રણ વર્ષ પૂર્વે ત્રિપલ સવારી સ્કૂટરને ઠોકરે ચડાવી સ્કૂટર સવાર પત્ની, પુત્ર અને પત્નીના પ્રેમીના મોતને ઘાટ ઉતારવાના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રૈયાધાર વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગર રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા પ્રવીણ ઉર્ફે કનુભાઈ વાલજીભાઈ દાફડા (ઉં.વ.45)ની પત્ની પારૂૂલબેન દાફડા પોતાના પોતાના પુત્ર પ્રદીપ દાફડા સાથે પ્રેમી નવનીત રામજીભાઈ વરુ સાથે રહેવા ચાલી ગઈ હતી. જે પ્રેમપ્રકરણનો ખાર રાખી પ્રવીણ ઉર્ફે કનુ દાફડાએ ગત તા. 22/10/23ના રોજ પત્ની પારૂૂલબેન દાફડા પોતાના પુત્ર પ્રદીપ દાફડા સાથે પ્રેમી નવનીત વરુના સ્કૂટર પાછળ બેસી કોઠારીયા ચોકડીથી આજીડેમ તરફ જતા હાઈવે રોડ પર જતા હતા.

ત્યારે રામવન સામે પહોંચતા પ્રવીણ ઉર્ફે કનુ દાફડાએ પોતાના હસ્તકનો જીજે 03 બીડબલ્યુ 9075 નંબરના ટ્રક હડફેટે ચડાવી પત્ની, પુત્ર અને પત્નીના પ્રેમીને 10 થી 15 ફૂટ સુધી રોડ ઉપર ઢસડીને ટ્રક નીચે કચડી નાખ્યા હતા. જે અંગે મૃતક નવનીત વરુના ભાઈ હિતેશભાઈ રામજીભાઈ વરુ (રહે. ભુવનેશ્વરી સોસાયટી)એ પોલીસ મથકમાં પ્રવીણ ઉર્ફે કનુ દાફડા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રિપલ મર્ડર કેસમાં આરોપી સામે પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું.

ચાર્જશીટ બાદ કેસ ચાલવા ઉપર આવતા 17 સાહેદો, ફરિયાદી અને તપાસ અધિકારીની જુબાની લેવામાં આવી હતી અને ટ્રક માલિકે ટ્રક ડ્રાઇવર પ્રવીણ ઉર્ફે કનું દાફડાને ઓળખી બતાવ્યો હતો. ત્યાર બાદ સરકાર પક્ષે રોકાયેલા વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે તપાસવામાં આવેલા ફરિયાદીએ કોટે સમક્ષ ફરિયાદ મુજબ જ જુબાની આપી જણાવેલ છે કે નવનીતભાઈ સારવાર હેઠળ હતો તે દરમિયાન પ્રવીણ દાફડાએ ટ્રક ચડાવી દીધો હોવાનું ફરિયાદીને જણાવ્યું હતું.

મરણજનારે મર્યા પહેલા જ તેના ભાઈને જે હકીકત જણાવેલ છે તે ઓરલ ડીડી તરીકે ટ્રીટ કરી શકાય અને મરનાર વ્યક્તિ ખોટું ન બોલે જેવી દલીલો ગ્રાહ્ય રાખી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પી.જે.કાયસ્થે આરોપી પ્રવીણ ઉર્ફે કનું દાફડાને ત્રિપલ મર્ડર કેસમાં તકસીરવાન ઠરાવી સખત આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ બીનલબેન અશોકભાઈ રવેશીયા રોકાયા હતા.

Exit mobile version