Site icon Gujarat Mirror

મધદરિયે પોરબંદર કોસ્ટગાર્ડનું દિલધડક રેસક્યુ, એકસાથે 12 ખલાસીઓને બચાવ્યા, જુઓ વિડીયો

ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દેશના એક વેપારી જહાજના 12 ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા છે. પોરબંદરથી માલસામાન સાથે ઈરાન જઈ રહેલ બોટ ડૂબી હતી. જોકે કોસ્ટગાર્ડ દ્વારા ડૂબી રહેલી બોટમાંથી 12 ખલાસીઓને બચાવ્યા છે. હવે આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે.

ટેક્નિકલ ખામીના કારણે જહાજ અરબી સમુદ્રમાં ડૂબ્યું હતું. એમએસવી અલ પીરાનપીર જહાજ ગઈ કાલે (ચોથી ડિસેમ્બર) પાકિસ્તાનની જળસીમામાં ડૂબ્યું હતું. જેને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડે પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી (PMSA) સાથે મળીને બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ વેપારી જહાજ પોરબંદરથી ઈરાની બંદર માટે બીજી ડિસેમ્બરે રવાના થયું હતું. ગઈ કાલે (ચોથી ડિસેમ્બર) સવારે દરિયામાં તોફાન અને પૂરના કારણે તે ડૂબી ગયું હતું. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના MRCC, મુંબઈ દ્વારા એક ડિસ્ટ્રેસ કોલ આવ્યો હતો, જેણે ગાંધીનગર ખાતેના ICG રિજનલ હેડક્વાર્ટર (ઉત્તર પશ્ચિમ)ને તાત્કાલિક ચેતવણી આપી હતી. ICG જહાજ સાર્થકને તાત્કાલિક નિર્ધારિત સ્થળે મોકલવામાં આવ્યું હતું. આ વિસ્તારના ખલાસીઓને ચેતવણી આપવા માટે એમઆરસીસી પાકિસ્તાનનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની સહાય તરત જ પૂરી પાડવામાં આવી હતી. બાદમાં, જહાજ સાર્થકને સંભવિત સ્થાન પર પહોંચ્યું અને રેસ્ક્યૂ ઓપરેશન કરીને તમામ ક્રૂ મેમ્બરને બચાવી લેવાયા હતા.

મળતી માહિતી મુજબ 12 ક્રૂ મેમ્બર જેમણે તેમના જહાજને છોડી દીધું હતું અને નાની હોડીમાં આશ્રય લીધો હતો, તેઓને દ્વારકાથી લગભગ 270 કિમી દૂર પાકિસ્તાનના વિસ્તારમાં મળી આવ્યા હતા. રેસ્ક્યૂ કરાયેલા ક્રૂ મેમ્બર્સની સાર્થક પરની મેડિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તેઓને પોરબંદર બંદર પર પાછા લઈ જવામાં આવી રહ્યા છે.

Exit mobile version