રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં ન્યુ ગોપીવંદના સોસાયટીના આધેડ અને મારુતી નગરના પ્રૌઢાનુ મોત નીપજ્યુ છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બાબરીયા કોલોની મેઇન રોડ પર આવેલ ન્યુ ગોપીવંદના સોસાયટીમાં રહેતા જગદીશભાઇ નાગજીભાઇ અમરેલીયા (ઉ.વ.56) વહેલી સવારે બાથરૂમમાં પડી જતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જયા ફરજ પરના તબીબે આધેડનું હાર્ટએટેકથી મોત નીપજ્યુ હોવાનુ જાહેર કર્યુ હતું.
બીજા બનાવમાં કુવાડવા રોડ પર આવેલા મારુતી નગરમાં રહેતા શારદાબેન જીતુભાઇ ડોબરીયા નામના 52 વર્ષના પ્રૌઢાને હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનુ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ ઉપરાંત અન્ય બનાવમાં સરધારમાં રહેતા સંજય બાવાભાઇ મકવાણા (ઉ.વ.39) ગત તા.26ના રોજ પોતાના ઘરે પડી જતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જયા ગોળાનુ ઓપરેશન કરાવ્યા બાદ ફરી તબિયત લથડતા બેભાન હાલતમાં મોત નીપજ્યુ હતું. યુવકના મોતથી બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

