રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી ભરખી રહ્યો છે ત્યારે વધુ એક બનાવમાં શાપરમાં રહેતાં શ્રમિક સગીરની હૃદયરોગના હુમલાથી મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપરમાં આવેલા રાવકી ગામના રસ્તા ઉપર પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલા ધવલ રતનભાઈ રાઠવા નામનો 17 વર્ષનો સગીર રાત્રીના સમયે રોહિતભાઈની વાડીએ હતો ત્યારે આઠેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડયો હતો.
સગીરને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી સગીરનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે જાણ થતાં શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

