Site icon Gujarat Mirror

હમાસ 60 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર, 10 બંધકોને પણ મુક્ત કરશે

મધ્યસ્થી ઇજિપ્ત અને કતાર, યુનાઇટેડ સ્ટેટ્સના સમર્થનથી, ઇઝરાયલ-હમાસ સંઘર્ષમાં કાયમી યુદ્ધવિરામ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે યુદ્ધવિરામ પ્રસ્તાવ સ્વીકાર્યો હોવાના અહેવાલ છે. જૂથના એક સૂત્રએ સોમવારે સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે તેણે કોઈપણ સુધારા વિના નવી યોજના સ્વીકારી લીધી છે.

પેલેસ્ટિનિયન અધિકારીઓએ શેર કર્યું છે કે નવા યુદ્ધવિરામ પ્રસ્તાવમાં 60 દિવસનો વિરામ થશે. આ વિરામ દરમિયાન, ઓછામાં ઓછા 10 જીવિત ઇઝરાયલી બંધકોને મુક્ત કરવામાં આવશે, અને સંખ્યાબંધ મૃતદેહો પણ મુક્ત કરવામાં આવશે. ઇઝરાયલે હજુ સુધી આ સોદાનો જવાબ આપ્યો નથી. પેલેસ્ટિનિયન અધિકારીઓના જણાવ્યા મુજબ, AFP એ અહેવાલ આપ્યો છે કે મધ્યસ્થીઓ ઔપચારિક કરારની જાહેરાત કરે અને યુદ્ધવિરામ વાટાઘાટો ફરી શરૂૂ કરવા માટે તારીખ નક્કી કરે તેવી અપેક્ષા છે.

ઇસ્લામિક જેહાદના એક સૂત્રએ એએફપીને જણાવ્યું હતું કે બાકીના બંધકોને બીજા તબક્કામાં મુક્ત કરવામાં આવશે, ત્યારબાદ વ્યાપક સમાધાન માટે વાટાઘાટો થશે. આ વિકાસના થોડા સમય પહેલા, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર વાત કરી હતી અને જણાવ્યું હતું કે બંધકોને મુક્ત કરવાનો એકમાત્ર રસ્તો હમાસનો નાશ કરવાનો છે.

ગયા અઠવાડિયે, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે ઇઝરાયલ એક કરાર માટે સંમત થશે જેમાં બધા બંધકોને એક જ સમયે મુક્ત કરવામાં આવશે અને યુદ્ધ સમાપ્ત કરવા માટેની અમારી શરતો અનુસાર. ઇઝરાયલી સંરક્ષણ દળો અનુસાર, ઓક્ટોબર 2023 માં હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા દરમિયાન લેવામાં આવેલા 251 બંધકોમાંથી 49 હજુ પણ ગાઝામાં છે, જેમાંથી 27 લોકોના મોતની આશંકા છે.
ગાઝાની નાગરિક સંરક્ષણ એજન્સીએ જણાવ્યું હતું કે ઇઝરાયલી દળોએ સોમવારે સમગ્ર પ્રદેશમાં ઓછામાં ઓછા 11 લોકોને મારી નાખ્યા, જેમાં દક્ષિણમાં ઇઝરાયલી ગોળીબારથી છ લોકો માર્યા ગયા. જોકે, ઇઝરાયલી સૈન્યએ કહ્યું કે પેલેસ્ટિનિયન પ્રદેશના દક્ષિણ વિસ્તારોમાં IDF ગોળીબારના પરિણામે કોઈ જાનહાનિ થઈ છે તેની તેમને જાણ નથી.

Exit mobile version