Site icon Gujarat Mirror

આવતીકાલે રેસકોર્ષ ખાતે ભવ્ય આતશબાજી

અવનવા ફટાકડાની આકાશમાં એક કલાક રંગોળી સર્જાશે, શહેરીજનોને આમંત્રણ પાઠવતું મનપા

રંગીલું રાજકોટ દરેક ઉત્સવ અને અન્ય અવસરની ઉત્સાહપૂર્વક ઉજવણી માટે ખુબ જ જાણીતું છે. મકરસંક્રાંતિ, ધુળેટી, જન્માષ્ટમી, ગણપતિ ઉત્સવ, નવરાત્રિ કે પછી દિવાળી જેવા આપણા મહાપર્વ હોય કે પછી સામાજિક કે સાંસ્કૃતિક પ્રસંગ હોય, રાજકોટવાસીઓનો તહેવારોની ઉજવણી પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ ખરેખર નોંધપાત્ર બની રહે છે. આ જ કારણ રાજકોટને રંગીલું અને અન્ય શહેરો કરતા અલગ બનાવે છે.

સ્વચ્છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ અનુસંધાને યોજાનાર કાર્યક્રમો અંગે વિસ્તૃત વિગતો આપતા મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાઅને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી દિવાળીના તહેવારોના અનુસંધાને ભવ્ય આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળે છે. જે પરંપરા મુજબ આવતીકાલે તા.18/10/2025, શનિવાર ધનતેરસના શુભ દિવસે સાંજે 07:00 કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્યાતિ ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.

આ આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય અને શહેરીજનો આ કાર્યક્રમ નિહાળવામાં કોઈ અગવડ ન પડે તે હેતુસર, કાર્યક્રમના આયોજનને આખરી ઓપ આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.

આ આતશબાજી કાર્યક્રમમાં આમંત્રિત મહાનુભાવોની એન્ટ્રી રેસકોર્ષ સંકુલ ખાતે આવેલ શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમથી હોકી ગ્રાઉન્ડની ગેલેરી પાસે આવેલ જીમ તરફ જવાના રસ્તાથી શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં એન્ટ્રી લેવાની રહેશે. જ્યારે કોર્પોરેટરઓ તથા પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓની એન્ટ્રી બહુમાળી ભવન સામેથી શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમના પેવેલીયન તરફ જવાના રસ્તાથી એન્ટ્રી લેવાની રહેશે.

જાહેર જનતાને 1) બહુમાળી ભવન સામેના શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાના રસ્તાથી 2) શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમથી શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમના ગેઇટથી એન્ટ્રી આપવામાં આવશે. જાહેર જનતાએ આ કાર્યક્રમ નિહાળવા કોઇપણ પ્રકારના પાસની જરૂૂરીયાત નથી. રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાઅને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા શહેરીજનોને આતશબાજી કાર્યક્રમ નિહાળવા અને ઉમટી પડવા નિમંત્રણ પાઠવે છે.

Exit mobile version