દીવમાં નવ વર્ષના પ્રેમનો કરૂણ અંજામ: આરોપી મહિલા ત્રણ સંતાનની માતા છે
દીવના સાઉદવાડી વિસ્તારમાં 9 વર્ષના પ્રેમ પ્રકરણનો કરૂૂણ અંજામ આવ્યો છે. જ્યાં યુવકનો મૃતદેહ તેની પ્રેમિકાના ઘરેથી મળી આવ્યો હતો. રાત્રે મળવા આવેલા પ્રેમીની પ્રેમિકાએ જ હત્યા કરી નાખી હતી. બન્ને વચ્ચે ઝગડો થતાં ગળાફાંસો આપી દીધો હતો. જેને પગલે પોલીસે પ્રેમિકા વિજયાની ધરપકડ કરી છે. જોકે, પોલીસને શક છે કે આ ઘટના પાછળ વધુ લોકોની પણ સંડોવણી હોઈ શકે છે જેને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાથમિક માહિતી અનુસાર, મેઘાવાડી સાઉદવાડીના રહેવાસી 40 વર્ષીય આશિષ લખમણ છેલ્લા નવ વર્ષથી ત્રણ સંતાનની માતા વિજયા બારીયા સાથે પ્રેમ સંબંધમાં હતો. આ દરમિયાન ગતરાત્રે આશિષ વિજયાના ઘરે ગયો હતો, જ્યાં સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આશિષના પરિવારજનોએ દીવ કોસ્ટલ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ દીવ સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. મોત શંકાસ્પદ જણાતા પોલીસે વિજયાની પૂછપરછ કરી હતી.
પૂછપરછ દરમિયાન વિજયાએ કબૂલ્યું કે, રાત્રે આશિષ સાથે ઝઘડો થયા બાદ તેણે ગળાફાંસો આપીને તેની હત્યા કરી હતી. પોલીસે વિજયાની ધરપકડ કરી છે, પરંતુ પોલીસને શંકા છે કે, વિજયા એકલા હાથે આ હત્યા કરી શકે નહીં અને તેમાં અન્ય કોઈની સંડોવણી હોઈ શકે છે. પોલીસે ઇગજની કલમ 103/1 હેઠળ ફરિયાદ નોંધી છે અને વિવિધ દિશાઓમાં તપાસ શરૂૂ કરી છે. આશિષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. દીવ પોલીસે ગીર સોમનાથ ઋજકની મદદથી દરેક પાસાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ ઘટના દીવ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે, નવ વર્ષના સંબંધ બાદ પ્રેમિકાએ પ્રેમીની હત્યા શા માટે કરી. દીવ પોલીસે જણાવ્યું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આ ઘટના પરથી વધુ પડદો ઉઠશે. મૃતક આશિષના પરિવારજનો હાલ શોકમાં હોવાથી કોઈ નિવેદન આપી શક્યા નથી.

