પાવન પર્વના દિવસે મુલાકાતીઓને પધારવા તંત્રનો અનુરોધ
મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક ઉત્સવો દરમિયાન તેમના દ્વારા અપાતી સેવાઓ વિનામુલ્યે આપવામાં આવતી હોય છે. જે અંતર્ગત આવતીકાલે રામનવમી નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા અર્બન ફોરેસ્ટ રામવન એક દિવસ માટે મુલાકાતીઓને વિનામુલ્યે પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ પર્વ નિમિત્તે સહેલાણીઓને રામવનની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 15 માં આજી ડેમ પાસે, કિશાન ગૌ શાળા રોડ પર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોને આવરી લેતું સંપૂર્ણ કુદરતી વાતાવરણ ધરાવતું અર્બન ફોરેસ્ટ રામવન આજી ડેમ પાસે વિકસિત કરી, જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે. તા.26-03-2026ના રોજ રામનવમી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અર્બન ફોરેસ્ટ (રામવન)ની મુલાકાત માટે તમામ મુલાકાતીઓને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવનચરિત્રના પ્રસંગોને આલેખતી વિશાળ પ્રતિમાઓ સહિતના આકર્ષણો દર્શાવતું રામવનનું નિર્માણ કરવામાં આવેલ છે. ભગવાન શ્રીરામના જીવનચરિત્રના પ્રસંગોમાંથી પ્રેરણા મેળવે તેમજ ભગવાન શ્રીરામ પ્રત્યેના ભક્તિભાવથી અવગત કરવાના ઉમદા હેતુથી રામનવમીના દિવસે અબન ફોરેસ્ટ (રામવન)ની મુલાકાત માટે તમામ વય જૂથના મુલાકાતીઓને નિ:શુલ્ક પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

