નોર્વેના પૂર્વ વડાપ્રધાન અને નોબેલ સમિતિના પૂર્વ અધ્યક્ષ થોરબોર્ન જેગલેન્ડ (Thorbj7rn Jagland) ને કથિત આપઘાતના પ્રયાસ બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ ઘટના ત્યારે બની છે જ્યારે તેમના પર દિવંગત ફાઇનાન્સર જેફરી એપ્સ્ટિન (Jeffrey Epstein) સાથેના સંબંધોને લીધે ગંભીર ભ્રષ્ટાચારના આરોપો હેઠળ તપાસ ચાલી રહી છે.
મીડિયા અને સોશિયલ મીડિયા (OSINT પ્લેટફોર્મ Faytuks Network) ના અહેવાલો મુજબ, ગયા અઠવાડિયે જેગલેન્ડે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નોર્વેજિયન એડિટર્સ એસોસિએશને શરૂૂઆતમાં જેગલેન્ડના વકીલ સાથે આ અંગેના સમાચાર જાહેર ન કરવા સહમતી દર્શાવી હતી, પરંતુ બાદમાં કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આ સમાચાર પ્રકાશિત કર્યા હતા. તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
જેગલેન્ડ 1996 થી 1997 દરમિયાન નોર્વેના વડાપ્રધાન, વિદેશ મંત્રી અને ત્યારબાદ યુરોપ પરિષદના સેક્રેટરી જનરલ (2009-2019) રહી ચૂક્યા છે. અમેરિકી ન્યાય વિભાગની ફાઈલોમાં બહાર આવ્યું છે કે, જેગલેન્ડ અને તેમનો પરિવાર પેરિસ, ન્યૂયોર્ક અને પામ બીચમાં એપ્સ્ટાઈનની મિલકતોની મુલાકાતે ગયા હતા. એપ્સ્ટિને જેગલેન્ડનો ઉપયોગ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જેવા ઉચ્ચ સ્તરીય નેતાઓ સાથે બેઠકો ગોઠવવા અને પ્રભાવ પાડવા માટે કર્યો હોવાનો આરોપ છે. જેગલેન્ડે આ સંબંધોને નિર્ણય લેવામાં ભૂલ ગણાવી છે, પરંતુ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિનો ઈનકાર કર્યો છે.
નોર્વેની આર્થિક ગુના એકમ “lkokrim’ એ જેગલેન્ડ પર ગંભીર ભ્રષ્ટાચારનો ગુનો નોંધ્યો છે આ આરોપો સાબિત થાય તો તેમને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. તપાસ મુખ્યત્વે 2011 થી 2018 ના સમયગાળા પર કેન્દ્રિત છે, જ્યારે તેઓ નોબેલ સમિતિ અને યુરોપ પરિષદમાં મહત્વના પદ પર હતા. યુરોપ પરિષદે તેમની રાજદ્વારી મુક્તિ (Diplomatic Immunity) પાછી ખેંચી લીધી છે જેથી તપાસ આગળ વધી શકે.

