મનપાએ ગઈકાલે નગરસેવકો ફરિયાદની માહિતી મેળવી શકે તે માટે કાઉન્સિલર એપ લોન્ચ કરી પરંતુ તેનો ફાયદો કોને?
મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકા સંબંધિત પ્રશ્નો કે ફરિયાદો માટે સામાન્ય રીતે નાગરિક પોતાના વોર્ડના કોર્પોરેટરને રજુઆતો કર્તા હોય છે, અને આ રજુઆતો રાજકોટ મહાનગરપાલિકાના લગત અધિકારીઓ સુધી પહોચાડી તે ફરિયાદોનું નિવારણ લાવવા માટે કાર્યરત હોય છે.આકામગીરીને વધુ સુદ્રઢ, સક્ષમ અને પેપરલેસ બનાવવા અને ફરિયાદ નિવારણ પ્રક્રિયાને સરળ બનાવવા માટે કોર્પોરેટરશ્રીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાઉન્સિલર મોબાઈલ એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેનું લોન્ચિંગ ગઈકાલે કરવામાં આવ્યું હતું. પરંતુ એપનો ઉપયોગ કરતા આવડે તેવા અંદાજે 40 કોર્પોરેટરોને જ આ એપથી ફાયદો થશે તેની સામે વર્ષે લાખો ફરિયાદો આવતી હોય તેવી 18 લાખની પ્રજાને કોર્પોરેશન ભુલી ગયું છે. તેવી ચર્ચા એપ લોન્ચ થયા બાદ જાગી છે.
મહાનગરપાલિકામાં દર વર્ષે લાખો ફરિયાદો લોકોના પાયાના પ્રશ્ર્નોને લગતી આવતી હોય છે. આ ફરિયાદોના નિકાલ માટે આદર્શ વ્યવસ્થાપન નથી જયારે જવલ્લે જ લોક પ્રશ્નો ઉઠાવતા નગરસેવકોને ફરિયાદ રજૂ કરવા માટે મહાપાલિકાએ એપ્લિકેશન બનાવી છે. મ્યુનિ. કમિશનર નવા આઈડિયા મૂકે છે પરંતુ એ પણ દર્શાવવું જોઈએ કે શું અત્યાર સુધી નગરસેવકો દ્વારા થતી ફરિયાદોને સૂચારૂૂ નિકાલ ન્હોતો થતો? જે કામ એક વ્હોટ્સ અપ ગૃપ બનાવવાથી થઈ શકે તેના મોટ એપ્લિકેશન કેમ બની? બીજુ એ પણ જાહેર થવું જોઈએ કે કેટલા નગરસેવકોએ છેલ્લા એક વર્ષમાં કેટલી લોક ફરિયાદો રજૂ કરી છે?
શહેરના લોકોની ફરિયાદોનું નિરાકરણ કરવા નગરસેવકો પાસે સમય હોતો નથી. મોટા ભાગના નગરસેવકો પોતાનો સ્વાર્થ સાધવાના કામો પરત્વે ધ્યાન કેન્દ્રીત કરીને તેની ભલામણો અને ફોલોઅપ કરતા રહે છે. મહાપાલિકાના બોર્ડમાં પણ નગરસેવકોની સતત હાજરી કે સવાલો હોતા જ નથી. શાસક પક્ષના નગરસેવકો તો સરકારી માહિતીના સવાલો જ કરતા રહેછે. અત્યાર સુધી નગરસેવકો દ્વારા ફરિયાદો ફૌનથી અધિકારીઓને કરવામાં આવતી હતી.
લોકો દ્વારા ફરિયાદો થાય ત્યારે કમિશનર સુધી ફોન કરવામાં આવતા હોય છે. જેના નિરાકરણ માટે હવે એપ્લિકેશનમાં ફરિયાદ કરવાની રહેશે જેનાથી એવો દાવો કરાયો છે કે ફરિયાદોનું સઘન મોનિટરીંગ થઈ શકશે. પોતાના વિસ્તારમાં કેટલા નગરસેવકો કામ કરી લોકોના સવાલો ઉઠાવે છે તે વિગતો પણ જાણી શકાશે.
આ એપ્લિકેશન દ્વારા ફરિયાદ થશે તેના નિકાલની વિગતો પણ આપવા આયોજન છે. મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીને નગરસેવક ફરિયાદ કરી શકશે. પરંતુ તેનું નિરાકરણ આવશે કે કેમ તે સમય જ બતાવશે.