Site icon Gujarat Mirror

સિંહણને બેભાન કરવા છોડેલું ઈન્જેક્શન ભૂલથી વાગી જતાં વનકર્મીનું મોત

વિસાવદરના નાની મોણપરી ગામમાં માસૂમ બાળકને ફાડી ખાનાર માનવભક્ષી સિંહણને પાંજરે પૂરવા ગયેલી વન વિભાગની ટીમ પર કુદરતે રૂૂઠ્યો હોય તેવી ઘટના બની છે. સિંહણને બેભાન કરવા માટે છોડવામાં આવેલું એનેસ્થેસિયાનું ઇન્જેક્શન ભૂલથી વન વિભાગના ટ્રેકરને વાગતા, ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું છે. ગીરના ઇતિહાસમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના હોવાનું મનાય છે.

રવિવારે વિસાવદરના નાની મોણપરી ગામે 4 વર્ષના શિવમ નામના બાળકને સિંહણે ફાડી ખાતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ માનવભક્ષી સિંહણને પકડવા માટે વન વિભાગે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધર્યું હતું. સિંહણની લોકેશન મળતા જ તેને બેભાન (Tranquilize) કરવા માટે વનકર્મીઓ દ્વારા ગન ચલાવવામાં આવી હતી. જોકે, કમનસીબે આ ગનમાંથી છૂટેલું ઇન્જેક્શન સિંહણને લાગવાને બદલે ત્યાં હાજર વન વિભાગના ટ્રેકર અશરફભાઈ ચૌહાણને વાગી ગયું હતું.

સામાન્ય રીતે સિંહ જેવા જંગલી જાનવરને બેભાન કરવા માટે આપવામાં આવતા ડોઝની માત્રા ખૂબ જ વધારે હોય છે. આ ભારે માત્રાનું ઇન્જેક્શન શરીરમાં પ્રવેશી જતાં અશરફભાઈની તબિયત તુરંત લથડી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

રવિવારે રાતથી જ અશરફભાઈની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તબીબોની ભારે જહેમત છતાં, આજે વહેલી સવારે તેમણે દમ તોડ્યો હતો. એક વનકર્મીનું ફરજ દરમિયાન આ રીતે અકસ્માતે મોત થતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત સમગ્ર સ્ટાફમાં ગમગીની છવાઈ ગઈ છે.

Exit mobile version